ઝંખવાવ ગામે પાસાના આરોપીને છોડાવવા ચાર ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/પોલીસ-પર-હુમલો.webp)
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી ઝડપાયેલા પાસાના આરોપી ઝાકીર જુમ્મા મુલતાનીને છોડાવવા માટે આરોપી સાથે કુલ ચાર ઈસમોએ પોલીસ પર હુમલો કરી સરકારી કામમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સાંજના આશરે પોણા સાત વાગેના સુમારે ઝંખવાવ ચાર રસ્તા ખાતે ઝંખવાવ પોલીસ મથકના એએસઆઈ કિરણભાઈ રમણભાઈ હાજર હતા. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે અનેક ગુનાનો નાસતો ફરતો આરોપી ઝાકીર જુમ્મા મુલતાની તેના ઘરે ઝંખવાવ ગામે આવેલ છે. જેના આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે રેડ કરતા ઇસમ ઝાકીર જુમ્મા મુલતાનીએ પોલીસને જોતા પોતાના ઘરેથી નાસવા લાગ્યો હતો.
ત્યારે સાથેના પો.કો પરેશભાઈએ તેની પાછળ દોડતાં દોડતાં મુલતાની ફળિયામા ગયેલ અને ત્યાથી તેને પકડી પાડ્યો હતો. આ દરમ્યાન જાકીર પોતાની ધરપકડ ટાળવા નાસી જવાની કોશિશ કરતો હતો. ત્યારે અન્ય આરોપી તાહિર ઝહીર મુલતાની, શાહરૂખ હનીફ મુલતાની, ઇમ્મુ ઉર્ફ લાલુ યુસુફ મુલતાની આવી જતા પોલીસ સ્ટાફના માણસો સાથે જીભા જોડી કરવા લાગ્યો હતો અને કહેવા લાગેલ કે અમારા જાકીરને છોડી મુકો તેઓને શા માટે પકડવા આવેલ છો તેમ કહી તેને છોડવવા સારૂ આ ત્રણેય ઇસમો તથા જાકીર જુમ્મા મુલાતાનીએ પોલીસ પર હુમલો કર્યો હતો.
આ સમયે એએસઆઈ કિરણભાઈને નાકમાં ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે ત્રણેય ઇસમ નાસી ગયેલ પરંતુ મુખ્ય આરોપી ઝાકીર જુમ્મા મુલતાનીને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ અને સીઆરપીસી કલમ 157નો રિપોર્ટ કરી ઉપરી અધિકારીએ ગુનાનો સ્પેશિયલ રિપોર્ટ મોકલવા તજવીજ કરી હતી.