આજથી ધો. 10-12 બોર્ડની પરીક્ષા શરૂ, નોટ કરી લો સંપૂર્ણ શેડ્યૂલ
આજથી શરૂ થઈ રહેલી ધો.10 તેમજ ધો. 12 ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ રહી છે. અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં ધો.10 ના કુલ 9,11,687 જ્યારે ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનાં કુલ 6,21,352 વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપશે.
![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/IMG_20240311_074245-780x450.jpg)
આજથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં આજે ધો.10 ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો જ્યારે ધો. 12 માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્ચ મહિનાને છેલ્લા અઠવાડિયામાં ગુજકેટની પરીક્ષા યોજાશે.
પરીક્ષા સમયે સોશિયલ મીડીયા પર અફવા ફેલાવનાર સામે નોંધાશે ફરિયાદ
તેમજ પરીક્ષા કેન્દ્રનાં 100 મીટરનાં વિસ્તારમાં ઝેરોક્ષ મશીન પર રોક લગાવાશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. તેમજ તમામ પરીક્ષા સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. બોર્ડનાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પરીક્ષા કેન્દ્ર પર તૈનાત રહેશે. બોર્ડની પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ સમયસ પરીક્ષા સ્થળ પર પહોંચી શકે તે માટે એસ.ટી. વિભાગને તૈયારી કરવા સૂચના અપાઈ છે. જો કોઈ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવશે તો તેની સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવશે.
પરીક્ષામાં ગેરરીતી કરનાર સામે શું કાર્યવાહી થઈ શકે
પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.૨,૦૦,૦૦૦/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા ઉમેર્યું હતું.
ગુજકેટની પરીક્ષા ક્યારે યોજાશે
આ ઉપરાંત રાજ્યના ૩૪ ઝોનના ૩૪ કેન્દ્રો પર આગામી તા. ૩૧ માર્ચના રોજ સવારે ૧૦ થી ૦૪ દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.
નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
હવે રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા
ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.