સરકાર દ્વારા સતત પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના તાલુકાઓ સરકારી પ્રાથમિકશાળામાં બાળકોની સંખ્યામાં પ્રતિવર્ષ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. ધો.1થી 8માં 10 વર્ષમાં જ 47 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે.રાજ્ય સરકાર પ્રવેશોત્સવ, ગુણોત્સવ , સાક્ષરતા અભિયાન કન્યા કેળવણી સહિતના અભિયાનો પ્રાથમિક શિક્ષણમાં સુધારા માટે ચલાવવામાં આવી રહ્યા છે. તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. છતાં બધી યોજનાઓના અમલ પછી પણ સુરત જિલ્લામાં આવેલ મહુવા, માંડવી, કામરેજ સહિતના તાલુકાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાના બાળકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
- જિલ્લામાં વર્ષ 2013-14માં 1,49,095 વિદ્યાર્થીઓ હતા જે વર્ષ 2023-24 સુધીમાં ઘટીને 1,01,577 થઇ ગયા
- પ્રવેશોત્સવ, ગુણોત્સવ, સાક્ષરતા અને કન્યા કેળવણી જેવા અભિયાનો વચ્ચે છાત્રોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સુરત જિલ્લાના તાલુકાઓમાં ૨૦૧૩-૧૪ થી ૨૦૧૮-૧૯ના વર્ષમાં 1,49,095 વીદ્યાર્થીઓ નોંધાયા હતા. અને દશ વર્ષ પછી ૨૦૨૩-૨૪ના વર્ષમાં 1,01,577 વીદ્યાર્થીઓ નોંધાયા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યાના આંકડાઓ ચકાસવામાં આવ્યા તો સંખ્યા વધવાની જગ્યાએ પ્રતિવર્ષ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
હાલની પરિસ્થિતિ એ છે કે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં સાંખ્યના અભાવે ઘણી શાળાઓ બંધ થઈ ગઈ છે. તો હજી કેટલીય શાળાઓમાં ૧ થી ૫ ધોરણ વચ્ચે ૨૦ થી ઓછા બાળકો છે, અને તે શાળા જેમ તેમ કરી ચલાવવામાં આવી રહી છે. તેના ભાવિ પર સંકટ તોળાય રહ્યું છે. સરકારી પ્રાથમિક શિક્ષણના સ્તર સામે જ સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યાંરે જનપ્રતિનીધીઓ, સરકાર ના અધિકારીઓ આ આ ઘટતી સંખ્યા અને બંધ થતી શાળાની સમસ્યાના હલ માટે અસરકારક પગલાં ભરવાની જરૂર છે.
8 શાળાને તાળાં લાગ્યા, હજી કેટલીક શાળા એ જ લાઇનમાં
સુરત જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં સંખ્યાના અભાવે અનેક શાળાને તાળા મારવા પડ્યા છે.જેમાં ૨૦૧૩-૧૪ માં ચોર્યાસીની ડુમસ તેમજ દીપલી પ્રા.શાળા. ૨૦૧૪-૧૫ માં મહુવાની કુકરબેડા, ૨૦૧૬-૧૭માં ચોર્યાસીની મલગામાં પ્રા, શાળા જ્યારે ૨૦૧૭-૧૮ માં ચોર્યાસી ની રાજગરી ૨, ઓલપાડની દેલાસા, મહુવાની દીપા ફ. મહુવરીયા , સોનાઇમોરા બંધ થઈ જવા પામી છે તો હજી હાલ કેટલીય શાળા સંખ્યાના અભાવે બંધ થવાને આરે છે.
વર્ષ 2023માં સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના ધો.1થી 5માં 64,677 વીદ્યાર્થીઓ, જ્યારે ધો. 6થી 8માં 36,900 વીદ્યાર્થીઓ હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.