દેશમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉંચક્યું છે. એવામાં રાજ્યમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધરો નોંધાય રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 12 કેસ નોંધાયા છે. જેની સાથે કુલ એક્ટિવ કેસનો આંકડો 44 પર પહોંચ્યો છે. જો દેશમાં કોરોનાની હાલત વિશે વાત કરવામાં આવે તો નવા 752 કેસ નોંધાયા છે અને ચારના મોત થયા છે. દેશમાં એક્વિટ કેસનો આંક 3400ને પાર કરી ગયો છે.
અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં 18થી વધુ કેસ નોંધાયા
ગઇકાલથી શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરાવી શકશે. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસમાં 18થી વધુ કેસ નોંધાયા છે. નવરંગપુરા, પાલડી, નારણપુરા, સરખેજ અને થલતેજના 15થી 60 વર્ષના નાગરિકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
રિકવરી રેટ 98.81 ટકા નોંધાયો
મંત્રાલયના આંકડા અનુસાર, કોવિડ 19ને કારણે છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2 અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,71,212 થઈ ગઈ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા નોંધાયો છે. જ્યારે મૃત્યુદર 1.19 ટકા છે.
220.67 કરોડ ડોઝ અપાયા
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન હેઠળ 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આંકડા અનુસાર, 58 દેશોમાં કોવિડ-19ના કુલ 22 હજાર 205 પોઝિટિવ કેસમાંથી 45 ટકા (9,930) સેમ્પલ BA.2.86 અથવા તેના JN.1ના પોઝિટિવ મળ્યા છે.