ગુજરાત : શિયાળુ પાકમાં પિયતની પૂરતી સગવડ ના હોય તો કયો પાક વાવવો?
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/ખેડૂત-780x450.jpg)
ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે બાદમાં મેઘરાજાએ અચાનક વિરામ લીધો હતો.
ભાદરવાની શરૂઆત થતાં જ રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો હતો. જોકે, કેટલાક જિલ્લાઓમાં સામાન્ય સરેરાશ કરતાં એકંદરે ઓછો વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો હતો, જે સામાન્ય સરેરાશ વરસાદના માત્ર 80% છે. સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, તાપી જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વર્ષ 1901થી વરસાદી રેકૉર્ડ રાખવાની શરૂઆત કરાઈ ત્યારથી અત્યાર સુધીનાં 100 વર્ષમાં પહેલીવાર આવો સૂકો ઑગષ્ટ મહિનો નોંધાયો છે. આ સદીનો સૌથી મોટો સૂકો ઑગષ્ટ મહિનો રહ્યો છે. માત્ર ગુજરાત જ નહીં, દેશના દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.
જેને પગલે ખેડૂતોને રવિની સિઝનમાં પાણીની અછતનો સામનો કરવો પડી શકે એમ છે. આવા સમયે, આબોહવાની બદલાતી પેટર્ન અને કયા પાક ઓછા પાણીમાં વધુ વધારે ઉત્પાદન આપી શકે છે તે સમજવું ખેડૂતો માટે જરૂરી બની જાય છે.
ભારતમાં ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે, જે નીચા તાપમાનમાં વાવવામાં આવે છે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પાક લેવામાં આવે છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈ એ મહત્ત્વના રવિ પાકો છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટમેટાં, વરિયાળી, બટાટા, ઇસબગુલ પણ રવી પાકો છે.
શિયાળામાં કેવા પાક વાવવા જોઈએ?
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે રાત્રિનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહે છે. રવિ સિઝન માટે કયો પાક વાવવો તે પસંદ કરવાનો આ યોગ્ય સમય છે. જો તમે એવા જિલ્લામાં રહો છો કે જ્યાં વરસાદ ઓછો રહ્યો છે અને સિંચાઈની સુવિધા પણ ઓછી છે, તો તમારે વાવણી પહેલાં પાકની યોગ્ય પસંદગી કરવાની જરૂર છે જેથી તમને શ્રેષ્ઠ ઉત્પાદન મળી શકે.
અમે કૃષિ યુનિવર્સિટીઓના કૃષિનિષ્ણાતો સાથે વાત કરીને આ શિયાળામાં ખેડૂતો ઉગાડી શકે તેવા પાકોની યાદી તૈયાર કરી છે.
- ઘઉં: ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી વધુ જો કોઈ પાક લેવાતો હોય તો એ છે ઘઉં. જે જિલ્લાઓમાં મર્યાદિત પાણી ઉપલબ્ધ હોય ત્યાં ખેડૂતોએ ઘઉંની ખેતી કરવી જોઈએ. ઘઉં એક રોકડીયો પાક પણ છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કાળી અને છીછરી જમીનમાં ઘઉં વાવવામાં આવે છે. સારા ઉત્પાદન માટે ઘઉંને 10 વાર પિયતની જરૂર પડે છે. જે જિલ્લાઓમાં પિયતના પાણીની સવલત સારી છે, ત્યાં ખેડૂતોએ ઘઉંના પાકને 15 પિયત આપવાથી 20-25 ટકા વધુ દાણાનું ઉત્પાદન થવાની શક્યતા રહે છે. એટલે કે, વધુ ઉત્પાદન, વધુ નફો.
- મકાઈ : મકાઈના પાક માટે સંકર બીજ ઉપલબ્ધ છે. આ વર્ણસંકર બીજ ઓછી પિયતવાળી જમીનમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે. મકાઈનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, તેથી ખેડૂતો સારું વળતર મેળવવા માટે મકાઈ ઉગાડી શકે છે.
- બટાટા: બટાટા એ સદાબહાર શાકભાજી છે. તેને લગભગ તમામ શાકભાજી સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. બટાટાની વાવણી શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બર છે. તેની ખેતી માટે ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ પડે છે. બટાટાના પાકને સારા નિતારવાળી રેતાળ, ગોરાડું અને મધ્યમ કાળી જમીન વધારે અનુકૂળ આવે છે.
- ઇસબગુલ: ઇસબગુલ એ શિયાળુ પિયત પાક છે. તેને સૂકુ અને ઠંડુ હવામાન માફક આવે છે. એટલે થોડી ઠંડી વધે ત્યારે નવેમ્બર- ડિસેમ્બરમાં ઇસબગુલનું વાવેતર કરવું જોઈએ. તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ વધારે હોય ત્યાં આ પાકની વૃદ્ધિ સારી થાય છે. ઇસબગુલને વધારે પિયતની જરૂર નથી, તે ફક્ત 4-5 પિયતમાં સારું ઉત્પાદન આપે છે.
- ચણા: કઠોળનું જીવન ચક્ર નાનું છે, તેની ખેતીમાં 2-3 મહિનાનો જ સમય લાગે છે. ચણા સૂકા અને ઠંડા વાતાવરણમાં ઊગે છે. ચણા પણ એક એવું કઠોળ છે, તેને માત્ર 2-3 પિયતની જરૂર પડે છે. ચણાના સારા ઉત્પાદન માટે ભેજવાળી અને કાળી જમીન જરૂરી છે.
- રાઈ : રાઈના પાકને રેતાળ ગોરાળુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. થોડી ક્ષારવાળી જમીનમાં પણ આ પાક વધારે સારી રીતે ઊગે છે. રાઈને ફક્ત 4-5 વાર પિયત આપવાની જરૂર પડે છે.
પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેતી માટે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો?
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. પ્રતીક પંચાલ એવી તકનીકો વિશે સમજાવે છે, જે ખેડૂતોને ખેતરોમાં પિયતની સંખ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે.
“મલ્ચિંગ એ સિંચાઈના પાણીના બાષ્પીભવનને ઘટાડવાની એક રીત છે. તે જમીનના ભેજને જાળવી રાખવા માટે જમીનની ઉપરની સપાટીને આવરી લેવાની પ્રક્રિયા છે. મલ્ચિંગ જમીનની ફળદ્રુપતામાં ફાળો આપવાનું કામ કરે છે.”
મલ્ચિંગ જમીનની ફળદ્રુપતામાં સુધારો કરે છે, જંતુઓનું નિયંત્રણ કરે છે અને જમીનના તાપમાનમાં ફેરફાર કરે છે જે પાકની વૃદ્ધિ અને ઊપજમાં વધારો કરવાનો માર્ગ મોકળો કરે છે.
ડૉ. પંચાલના જણાવ્યા અનુસાર મલ્ચિંગના બે પ્રકાર છે,પ્લાસ્ટિક મલ્ચિંગ અને ઑર્ગેનિક મલ્ચિંગ.
પ્લાસ્ટિક મલ્ચિંગમાં પાક પર પ્લાસ્ટિકની ફલક પાથરવામાં આવે છે, જેથી સિંચાઈનું પાણી સૂર્યપ્રકાશમાં બાષ્પીભવન ન થાય.
ઑર્ગેનિક મલ્ચિંગમાં સૂકાં પાંદડાં, પરાગરજ, સ્ટ્રો, ખાતર,પ્લાસ્ટિકની ચાદર, લાકડાનો ઉપયોગ થાય છે.
મલ્ચિંગને કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને જમીનની સ્થિતિ પણ સુધરે છે.
આ ઉપરાંત ન્યૂનતમ પાણી અને ખર્ચ સાથે મહત્તમ ઉત્પાદન મેળવવાનો બીજો રસ્તો નીંદણ-નિયંત્રણ છે. જ્યાં પાણી અને ખાતર હોય ત્યાં નીંદણ ઊગી નીકળે. તે પાકની નજીક વધે છે અને પછી સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્ત્વો માટે પાક સાથે સ્પર્ધા કરે છે. એના લીધે પાકનો ઉત્પાદનખર્ચ વધે છે અને ગુણવત્તા ઘટે છે.
શુષ્ક પ્રદેશમાં પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરતું બીજું પરિબળ સૂક્ષ્મ સિંચાઈ છે. સૂક્ષ્મ સિંચાઈ ઊપજમાં વધારો કરી શકે છે અને પાણી, ખાતર અને શ્રમની જરૂરિયાતોને ઘટાડી શકે છે. સૂક્ષ્મ સિંચાઈમાં પાણી સીધું પાકના મૂળમાં જાય છે. આ કાર્યક્ષમ ટેકનિક એક પણ ટીપું બગાડ્યા વિના પિયતનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે.
ડૉ. પંચાલના જણાવ્યા અનુસાર પાક માટે જરૂરી પાણીની માત્રા વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ હોય છે.
એનો અર્થ એવો થાય કે જો ઘઉંને ઉત્તર ગુજરાતમાં જેટલા પિયતની જરૂર પડે તો સૌરાષ્ટ્રમાં પણ તેટલા જ પાણીની જરૂર પડે એ જરૂરી નથી.
પાક જે-તે પ્રદેશની આબોહવા, જમીનનો પ્રકાર અને ખડકોની રચના પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર ગુજરાત રેતાળ જમીન ધરાવે છે તેથી પાણી જમીનની અંદર ઊંડે સુધી ઝરે છે અને એટલે પાકને વધુ પાણીની જરૂર પડે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં કાળી અને છીછરી જમીન છે અને તેથી જમીનમાં લાંબા સમય સુધી ભેજ રહે છે અને તેથી પાકને ઓછા પાણીની જરૂર પડે છે.
ગુજરાતનું સ્થળાલેખન – રાજ્યમાં ખેતીની જમીન અને પાણીની ઉપલબ્ધતા કેટલી છે?
ગુજરાતની ભૂગોળની વિવિધતા અને વાર્ષિક વરસાદમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે.
રાજ્યના પોણા ભાગનો વિસ્તાર ખડકાળ ભૂપ્રદેશ અને દરિયાકાંઠાના પ્રદેશને કારણે ભૂગર્ભ જળઉપાડ માટે અયોગ્ય છે. વધુમાં, સપાટી પરના પાણીનો પુરવઠો મર્યાદિત છે અને આમ રાજ્યમાં દુષ્કાળનો લાંબો ઇતિહાસ નોંધાયેલો છે.
ગુજરાતમાં વરસાદની પદ્ધતિ અનિયમિત અને અસમાન છે જે વિવિધ પ્રદેશોમાં પાણીના વિતરણમાં અસંતુલન ઊભું કરે છે.
વર્તમાન સમયમાં ગુજરાતમાં દેશની 5% વસ્તી છે, જ્યારે દેશનાં માત્ર 2% જળસંસાધનો ગુજરાત પાસે છે.
રાજ્યમાં કુલ પાણીની ઉપલબ્ધતા 50 અબજ ઘન મીટર છે, જેમાંથી સપાટી પરના પાણીનો હિસ્સો 38 અબજ ઘન મીટર અને ભૂગર્ભ જળનો હિસ્સો બાકીનો 12 અબજ ઘન મીટર છે.
સપાટીના 38 અબજ ઘન મીટર પાણીમાંથી 80% થી વધુ સિંચાઈ હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે.
કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ જળસંસાધનોના આધારે રાજ્યને ચાર અલગઅલગ એકમોમાં વિભાજિત કરી શકાય છે.
- કચ્છ એક શુષ્ક વિસ્તાર છે, જ્યાં ઓછા વરસાદ પડે છે અને અહીં બારમાસી નદીઓ નથી.
- ઉત્તર ગુજરાતમાં રિચાર્જ કરી શકાય તેવાં જળાશયો છે પરંતુ આ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. અહીં અતિશય સિંચાઈ અને ઔદ્યોગિક પાણીની માંગને કારણે જમીનનો ઉપાડ ખૂબ વધારે છે, જેના કારણે ભૂગર્ભજળનું સ્તર ઘટી જાય છે.
- દક્ષિણ અને મધ્ય ગુજરાત કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્ત્વના વિસ્તારો છે, રાસાયણિક ખાતર અને ઔદ્યોગિક કચરાનો વધુ પડતો ઉપયોગ ભૂગર્ભજળને પ્રદૂષિત કરે છે;
- દરિયાકાંઠાની નજીકનો પ્રદેશ પણ ખારાશના પ્રવેશને કારણે દૂષિત છે.
- સૌરાષ્ટ્ર ખડકાળ પ્રદેશ છે અને તેની રિચાર્જિંગ ક્ષમતા ખૂબ જ ઓછી છે, તેથી ભૂગર્ભજળ ફરી ભરવું ખૂબ જ ઓછું છે.
જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો 71% હિસ્સો ધરાવે છે, અને ત્યાં જળ સંસાધનોમાં 30% કરતા ઓછા છે. વધુમાં, જળસંરક્ષણ માળખાની ગેરહાજરીને કારણે દર વર્ષે 40% થી વધુ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે.
પ્રાદેશિક અસંતુલન માથાદીઠ પાણીની ઉપલબ્ધતાનાં સ્તરોમાં પણ પ્રતિબિંબિત થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત પ્રદેશની માથાદીઠ જળ ઉપલબ્ધતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની કુલ ઉપલબ્ધતા કરતાં લગભગ બમણી છે.