અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો, અંતે…આખરે પાંજરે પુરાયો
વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/3f37a5c1-2aab-4ec1-94b3-6c9fa7cdb529_1691673844688.webp)
માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો. તેમજ કેટલાક પશુપાલકોના મરઘાનો શિકાર પણ કર્યો હતો. જેથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. જે ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવતાં પાંજરુ ગોઠવ્યું હતું. તેમાં દીપડો પાંજરે પુરાયો હતો.
માંડવી તાલુકાના અમલસાડી ગામે હળપતિ મહોલ્લામાં દીપડાએ આતંક મચાવ્યો હતો. અવારનવાર દેખાવા સહિત મરઘાનો શિકાર કરતો હતો. તે દરમિયાન ગામ અગ્રણીઓએ માંડવી વનવિભાગને દીપડાની અવરજવરથી રહેતા જોખમની જાણકારી આપી હતી. માંડવી વન વિભાગે તરત જ જીતુભાઈ ખુશાલભાઈના ઘરની પાછળના ભાગે મારણ સાથે પાંજરુ ગોઠવ્યું હતું. મારણ ખાવાની લાહ્યમાં આજરોજ દીપડો આબાદ પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. વનવિભાગે પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.