બારડોલીમાં ભાજપનો આંતરિક જૂથવાદ ફરી જાહેરમાં
![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/bardoli.webp)
- લોટસ ગૃપને આખર બોર્ડ મૂકવા બાબતે સંગઠનના હોદ્દેદારો વચ્ચે પડી સમાધાન કર્યું
- બોર્ડ મૂકવા બાબતે સંગઠનના હોદ્દેદારો વચ્ચે પડ્યા ત્યારે મામલો થાળે પડ્યો
બારડોલોમાં ઘણા સમયથી ચાલી આવતો ભાજપનો આંતરિક જૂથવાદ ડામવામાં ભાજપના નેતા અને પદાધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. પરિણામે બે જૂથ હંમેશા ચર્ચામાં રહે છે.
સોમવારે નવરાત્રિના બેનર લગાવવા ભાજપના જ બે જૂથ વચ્ચે શીતયુદ્ધ થતાં રાત્રે બંને પક્ષ રોડ પર ઉતરી આવ્યા હતા.
બારડોલી ભાજપના બે જૂથ અલગ અલગ નવરાત્રિનું આયોજન કરે છે. જેમાં લોટસ ગૃપમાં બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલનું જૂથ અને સ્વર્ણિમ ગૃપમાં હાલ વર્તમાન જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય જીતેન્દ્ર પટેલ નું નામ જોડાયેલુ છે. બંને જૂથ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે.
મેદાન બુક કરાવવાથી લઈ રસ્તા પર બેનર લગાવવા દર વર્ષે બંને ગૃપ વચ્ચે વિવાદ થતો આવ્યો છે. હાલ સ્વર્ણિમ ગૃપે બારડોલી કોલેજના મેદાનમાં તો લોટસ ગૃપે સ્વરાજ આશ્રમ મેદાનમાં ગરબાનું આયોજન કર્યું છે. આ માટે શહીદ ચોક નજીક બેનર લગાવવા મામલે બંને જૂથો વચ્ચે બોલા ચાલી થઈ રહી હતી. પરંતુ સ્થાનિક ભાજપના પદાધિકારી પણ વચ્ચે નહીં આવતા, મામલો જિલ્લા સંગઠન સુધી પહોંચ્યો હતો. સોમવારે રાત્રે શહીદ ચોક પાસે બેનર લગાવવા બંને જૂથ વચ્ચે રોડ પર ઝઘડો થયો હતો. જેના કારણે ટ્રાફિક જામ થતાં પોલીસ આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
પરવાનગી ન હોવા છતાં આડેધડ બેનર લગાવતા હોવાની ફરિયાદ
બારડોલી નગરના રસ્તાઓ પર નવરાત્રિના જાહેરતના બોર્ડ લગાવવામાં આવેલા લોખંડની એંગલ ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી વાહન ચાલકોને તકલીફ પડી રહી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. છતાં નગરજનોને પડતી તકલીફ અંગે ચીફ ઓફિસર કોઈ પગલાં ભરતા નથી. એક રોડ પર એંગલ સાથે બેનર લગાવવાની પરવાનગી નહી હોવા છતાં નવરાત્રિના આયોજકો આડેધડ બેનર લગાવતા લોકો હેરાન થઈ રહ્યાની ફરિયાદ છે. લોકોના પ્રશ્નો હલ કરવાની જગ્યાએ સરકારી અધિકારીઓ ભાજપના પ્રશ્નો હલ કરવામાં જ વ્યસ્ત હોવાનું લાગી રહ્યું છે.
તમામ ચૂંટણી ટાંણે આ જૂથવાદની અસર પ્રજાએ અનુભવી છે
બારડોલી નગર તેમજ તાલુકાની ભૂતકાળમાં દાયકા અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ટિકિટની ફા બાબતે નારાજગી થતાં બે જૂથ પડયા હતા. . બે જૂથોમાં એક બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના નામે જૂથ ઓળખાયું, તો, બીજી તરફ માજી તાલુકા પંચાયત ઉપસરપંચ દેવુભાઈ ચૌધરીનું જૂથના નામથી અલગ થયું હતું. જેમાં વર્તમાન જિલ્લા પંચાયત કારોબારી અઘ્યક્ષ જીતુભાઈ પટેલ(જીતુ બામણી)નું નામ પણ જોડાયું છે. જૂથવાદને ડામવામાં ભાજપ સંગઠનના પદાધિકારીઓ અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.જૂથવાદની અસર સ્થાનિક સ્વરાજ, પાલિકા,વિધાનસભા ચૂંટણી સમયે પણ પ્રજાએ અનુભવી જ છે. જૂથવાદનો ઝઘડાએ મોટીતિરાડ પાડી છે. બંને જૂથે વર્ષોથી કોમર્શિયલ નવરાત્રીનું આયોજન પણ અલગ અલગ કરે છે. જેમાં સોમવારે રાત્રે નવરાત્રિનાજાહેરાતના બોર્ડ મુદ્દે બને જૂથના સમર્થકો સામસામે આવી ગયા હતા.