લોક અદાલતમાં એક જ દિવસમાં 2,315 કેસોનો નિકાલ કરી કોર્ટનું ભારણ ઘટાડાયું
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં આયોજન, વિવિધ વિભાગના કેસો રજૂ થયાં
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાઓની કોર્ટના ઉપક્રમે લોક અદાલતનું આયોજન કરાયું હતું. વિવિધ વિભાગોના 2,315 કેસનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોકઅદાલતમાં એમએસીપી કેસો, ફોજદારી સમાધાનલાયક કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ (એન.આઈ) એકટ કલમ-138 ના કેસો, લગ્ન તકરારો સંબંધી ફેમીલી કેસો, દીવાની દાવા જેવા કે જમીનના દાવા તથા બેંકના દાવાના કેસો અને વીજળી તથા પાણીના કેસો તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા પ્રિ-લીટીગેશનના કેસો સહિતના સમાધાન માટેરાખવામાં આવેલ કેસો પૈકી કુલ 2,315 કેસોનો નિકાલ કરાયો છે.
મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં કુલ 17 કેસોનોસુખદ નિકાલ કરી રૂ.71 લાખ, એન.આઈ એકટ કલમ 138 ના કુલ 42 કેસોનો સુખદ નિકાલકરી રૂ.70.21 લાખ, તથા નાણાંકિય વસુલાતના કુલ 13 કેસોનો સુખદ નિકાલ કરી રૂ.78.97 લાખની પતાવટ કરવામાં આવેલી છે.તદ્ઉપરાંત ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સંબંધી તકરારના કેસો, દીવાની દાવાના કેસો રજૂ કરવામાં આવ્યાં હતાં. રાજપીપળા કોર્ટના ફુલ ટાઈમ સેક્રેટરી એ.વાય.વકાનીએ વિવિધ બેંકોના, વિમા કંપનીઓના અધિકારીઓ સાથે તબકકાવાર બેઠકો કરીને લોક અદાલતને સફળ બનાવી હતી.