મહારાષ્ટ્રના મરાઠા આંદોલનની અસર ગુજરાતની સરકારી બસો પર જોવા મળી છે. સુરત-શિરડી બસને સાપુતારામાં અટકાવી દેવાઈ હતી. મહારાષ્ટ્ર જતી તમામ બસોના ડ્રાઇવર-કંડકટરને સૂચના અપાઈ છે કે જ્યાં જવાનું છે ત્યાંની પરિસ્થિતિ બાબતે કંટ્રોલ સેન્ટરને પૂછી બસ લઈ જવી. કેટલીક ખાનગી બસો પણ સાપુતારામાં અટકી ગઈ હતી. બસ વ્યવહાર ખોરવાતા મુસાફરો પરેશાન થયા હતા.
મરાઠા આંદોલનની અસરના કારણે નિર્ણય લેવાયો
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનકારીઓ બસને નિશાન બનાવીને નુકસાન કરતા હોય છે. એવામાં એસ.ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે બસને ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં મહારાષ્ટ્ર જતા મુસાફરો સાપુતારા ખાતે અટકાવવામાં આવી રહ્યા છે. શિરડી અને પૂણેમાં મરાઠા આંદોલનની અસરના કારણે આ નિર્ણય લેવાયો છે.
નાસિક જતા લોકોને સાપુતારા સુધી લઈ જવાયા
સુરત એસટી ડેપો મેનેજર બલરામ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ચાલતા મરાઠા આંદોલનના પગલે એસટી બસોને વ્યાપક અસર થવા પામી છે. નાસિક તરફ જતા લોકોને સાપુતારા સુધી લઈ જવામાં આવ્યા છે. નાસિક તરફ સોનગઢથી જતી બસોને માલેગાવ સુધી લઈ જવામાં આવે છે. કારણ કે શિરડી, પૂણે, ઓરંગાબાદમાં મરાઠા આંદોલનની અસર જોવા મળી રહી છે. જેના કારણે નાસિક, પૂણે, ઓરંગાબાદથી મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા ચલાવવામાં આવતી હતી એ બસોનું પણ સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.
મહાડ જતી બસો રાબેતા મુજબ ચાલી રહી છે
વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના નંદુરબાર, પાંજોરા, ધુલિયા સહિતના ગામો તરફની બસોનું સંચાલન રાબેતા મુજબ છે. આ ગામોમાં મરાઠા આંદોલનની કોઈ અસર જોવા મળી રહી નથી. જેથી બસો ચાલી રહી છે. સુરતથી મહાડ તરફથી જતી બસો પણ રાબેતા મુજબ ચલાવવામાં આવી રહી છે. જ્યાં પણ મરાઠા આંદોલનની અસર જોવા મળી રહી નથી.