“પાણી આવે એના પહેલા પાળ બાંધવી” વાક્ય સાર્થક કરતું બાળ સુરક્ષા વિભાગ
નર્મદા બાળ સુરક્ષા વિભાગ આગા ખાન સંસ્થા અને મહિલા મંચ સાથે રહીને લગ્ન સિઝન શરૂ થતાં પહેલાં બાળ લગ્ન અટકાવવા ખેતરો ખૂંદી રહ્યા છે
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/IMG-20240110-WA0007-780x470.jpg)
નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો અને અતિ પછાત જિલ્લો છે. આર્થિક અને શૈક્ષણિક રીતે પણ પછાત હોય આદિવાસી દીકરીઓને નાની ઉંમરે પરણાવી દેવાના કિસ્સા આ જિલ્લામાં બને છે. બાળ સુરક્ષા વિભાગ દર વર્ષે બે થી ત્રણ લગ્નો અટકાવે છે.
જેથી આ વર્ષે નર્મદા જિલ્લા બાળ સુરક્ષા આધિકારી ચેતન પરમારની આગેવાનીમાં એવું નક્કી કર્યું કે લગ્નની સિઝન ચાલુ થાય એટલે ગામે ગામ જઈને જાગૃતિ માટે લોકોને મળીને સમજાવવું છે. ત્યારે હાલ બાળ સુરક્ષા આધિકારીની આ કામગીરી હાલ લોકોને જાગૃતિ માટે ખુબ ઉપયોગી થઇ રહી છે.
નર્મદા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર અને તેમની સાથે ત્રિભોવન મકવાણા અને મહેન્દ્ર વસાવા આ ત્રણ લોકોની ટીમો આગા ખાન સંસ્થા અને શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારા સાથે રહીને સાગબારાના ગામોમાં ફરીને લોકોને સમજાવે છે કે બાળ લગ્નો કરવા નહિ, જો ગામોમાં લોકોના મળે તો ખેતરોમાં જઈને બધાને ભેગા કરીને સમજાવે છે. જે વાતો લોકોના મગજમાં આવી રહી છે. આ પ્રયોગ સાર્થક થઇ રહ્યો છે.
આ બાબતે બાળ સુરક્ષા આધિકારી ચેતન પરમારે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં બાળ લગ્નોની પ્રમાણ છે અને નાની ઉંમરના સગીર બાળકોને લગ્ન મંડપ કે લગ્નના બે દિવસ પહેલા પણ અટકાવી કાર્યવાહી કરી છે. પરંતુ આ એક આગોતરું આયોજન કર્યું કે જો લગ્ન આવા ગોઠવાયા હોય તો તેની જાણકારી મળી જાય અમે પૂછી લઈએ છે. બીજું કે સરકારની કેટલીક યોજનાઓના લાભની વાત સાથે બાળકોની જાતીય સતામણી કેવી રીતે અટકાવવી, કોને સીધો કોલ કરવો અને એવા વ્યક્તિને કેવી રીતે ઓળખવો આ તમામ બાબતો ની માહિતી આપીએ છે. લોકો દ્વારા સારો પ્રતિશાદ મળી રહ્યો છે. અમારો આશય એટલો છે સરકારી યોજનાઓ લોકો લાભ લે, બાળ લગ્નો અટકે સાથે જાતીય સતામણી અટકે, બસ એટલો હેતુ છે.