માંગરોળ તાલુકાના પાંચ ગામોમાંથી પાણી યોજનાના પાઇપ વેચી દેવાતા ગાંધીનગરથી તપાસ શરૂ
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ શંકાના ઘેરામાં
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/images-1.jpeg)
માંગરોળ તાલુકાના બોરસદ દેગડીયા ગામે 18 વર્ષ પહેલા રાજ્ય સરકારે રૂપિયા 35 કરોડના ખર્ચે 40 થી વધુ ગામો માટે પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કર્યું હતું. હાલ રાજ્ય સરકારે ફરી 50 કરોડથી વધુ રકમ મંજૂર કરી આ યોજનાનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. દરેક ગામોમાં જૂથ પાણી પુરવઠા યોજનાની નવી પાઈપ લાઈનો નાખવામાં આવી હતી. જ્યારે જૂની પાઇપ લાઇનો પાણી પુરવઠા વિભાગે કબજે લેવાની હોય છે, પરંતુ ઉપરોક્ત જૂની લાઈનો વેચી મારવામાં આવી છે.
આ બાબતે જાગૃત નાગરિકોએ મામલતદાર જિલ્લા કલેકટરને ભૂતકાળમાં ફરિયાદો કરી હતી પરંતુ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થઈ ન હતી. ત્યારે હાલમાં વાંકલ ગામેથી બોરસદ ડેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાની સરકારી પાઇપો ભરેલો ટેમ્પો જાગૃત નાગરિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે, પરંતુ દિવસો વિતવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કાયદેસરની પોલીસ ફરિયાદ નહીં નોંધાવતા સ્થાનિક જાગૃત આગેવાન રૂપસિંગ ગામિતે ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ધોરણે ટીમે માંગરોળ તાલુકાના પાંચ જેટલા ગામો આમખૂટા બોરીયા વેરાકુઈ રટોટી ઝરણી ગામે પહોંચી પાણી પુરવઠા વિભાગના જુના સરકારી પાઇપ ચોરી કૌભાંડની તપાસ શરૂ કરી છે. ગામે ગામ લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ત્યારે એક તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ શંકાના ઘેરામાં હોવાનું મનાઈ રહ્યું છે.