તાપી જિલ્લાના જાંબોલીના વિદ્યાર્થીઓ બસના અભાવે સાત દિવસથી પદયાત્રા કરવા મજબૂર
તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલ આર્ડ્સ એન્ડ કોમર્સ કોલેજ, માધ્યમિક હાઈસ્કૂલ અને ઉચ્ચત્તર માધ્યમિક હાઈસ્કૂલ, આઈ. ટી. આઈ ખાતે નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામથી લઈને વેલ્દા ગામ સુધીના ગામોમાંથી ભણવા જતા વિદ્યાર્થીઓને નિઝરના ભીલ જાંબોલી ગામે વાયા કરતી સોનગઢ ડેપોની બસ સાત દિવસથી બંધ કરાતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
વિદ્યાર્થીઓએ અભ્યાસ પર થઈ રહેલી અસરને ધયનમાં રાખી નિઝર પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. નિઝર તાલુકાના ભીલ જાંબોલી ગામે વાયા સોનગઢ ડેપોની બસની ફાળવણી કરવામાં આવેલ છે. જે બસ છેલ્લા સાતેક દિવસથી બંધ હોવાના કારણે નિઝર ખાતે ભણવા જનાર ઘણા ભીલજાંબોલી ગામના વિદ્યાર્થીઓ શાળાઓ, કોલેજ, કે આઈ ટી આઈ ચાલુ હોય તે દિવસે સવારના સમયે પોતના ગામથી 4 કિલોમીટરનું અંતર કાપી પગપાળા ચાલીને કેસરપાડા ત્રણ રસ્તા સુધી આવતા હોય છે. તેમજ સાંજના સમયે પણ એ જ પ્રમાણે 4 કિલોમીટર અંતર કાપી પગપાળા ચાલી જવા માટે મજબૂર છે. બીજી તરફ સોનગઢ, ઉચ્છલ તરફથી આવતી બસમાં પણ મુસાફરો તેમજ વિદ્યાર્થીઓથી ગીચોગીચ ભરાયને આવતી હોવાથી કેસરપાડાથી વેલદા ગામ સુધીના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અમુક દિવસ બસના અભાવે વિદ્યાર્થીઓ પરત પોતના ઘરે ફરી જતા હોવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. વધુ વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું. કે, નિઝર ભણવા જનાર વિદ્યાર્થીઓ માટે ભીલ જાંબોલી ગામની વાયા બસની ફાળવણી કરવામાં આવી હતી. તે બસને વર્તમાન સરકારના કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ હતી. પરંતુ વિદ્યાર્થીઓ માટે બીજી કોઈ પણ એકસ્ટ્રા બસ ફાળવવામા આવેલ નથી. જેના લીધે વિદ્યાર્થીઓ છેલ્લા સાતેક દિવસથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી ભીલ જાંબોલી ગામે વાયા કરતી બસ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.