![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/kuvarji-halpati.webp)
પીએમ મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એની સાથે સાથે એમણે અન્ય પ્રોજેક્ટોની પણ જાહેરાત કરી હતી. જે પૈકીનો પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એવા આદિવાસી મ્યુઝીયમનું કામ છેલ્લા 5 વર્ષથી ખોરંભે પડતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આંદોલન કરી એ મુદ્દે સરકાર પાસે જવાબ માંગી રહી છે.
બીજી બાજુ આદિવાસી મ્યુઝીયમનું કામ કેમ અટકી પડ્યું છે એ મુદ્દે સરકાર પણ મૌન છે. ત્યારે આ તમામની વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી મ્યુઝીયમની અચાનક મુલાકાત લઈ કામગીરી કેમ અટકી પડી છે એના અધિકારીઓ પાસે જરૂરી કારણો માંગ્યા હતા. પોતાની આ મુલાકાત બાબતે ગુજરાત સરકારના આદિજાતી મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, આદિવાસી મ્યુઝીયમની કામગીરી ક્યાં કારણોસર અટકી પડી છે એ તમામ જાણકારી મેં અધિકારીઓ પાસેથી મેળવી લીધી છે.
આ મંગળવારે હું મારા વિભાગના અધીકારીઓ સાથે મિટિંગ કરી કામગીરી વેહલી તકે ચાલુ કરવા અને વેહલી તકે પૂર્ણ કરવાની દિશામાં પ્રયત્નો કરીશ. પેહલી જે એજન્સી હતી એને કોઈક કારણોસર બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. જ્યારે જે વ્યક્તિ આ કામગીરી સંભાળતો હતો એનું કોરોનામાં મૃત્યુ થયું હોવાથી આદિવાસી મ્યુઝીયમનું કામ ડીમ પડ્યું છે. જો આર્થિક કારણોસર આ કામગીરી અટકી હશે તો એ અવરોધ પણ દૂર કરાશે અને જો જુની એજન્સી કામ નહિ કરે તો નવું ટેન્ડર બહાર પાડી નવી એજન્સીને કામગીરી સોંપવામાં આવશે એની હું બધાને ખાતરી આપું છું.