![](http://transparencynews.in/wp-content/uploads/2023/07/પુર્ણા-નદીમાં-પૂર.webp)
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની સાથે જ ભારે વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદમાં મહુવા તાલુકાના ઓંડચ ગામે ચેકડેમની પ્રોટેક્શન વોલ ધોવાઈ જતા ખેડૂતોની દસ કરોડની જમીન પુર્ણા નદીમાં ગરક થઈ છે. તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે, ઓંડચ ગામે નદીમાં પુરને લીધે સાત ખેડૂતોની અંદાજિત ૧૫ વીઘા જમીનનું ધોવાણ થયું હતું.
સુરત જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડયો હતો. આ ભારે વરસાદમાં મહુવા તાલુકો પણ પ્રભાવિત થયો હતો. બનાવમાં મહુવા તાલુકામાં પસાર થતી પુર્ણા નદી પર ઓંડચ ગામે ચેકડેમ આવેલો છે. આ ચેકડેમને લઈ હાલમાં ચોમાસાની શરૂઆત સાથે જ પુર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું. નદીમાં જળ સ્તર વધતાની સાથે જ તે ગામ તરફ વધ્યું હતું અને ગામ બાજુની પ્રોટેક્શન વોલ તોડી નદીએ ગામ તરફનો વહેણ લીધો હતો. જેને પગલે હાલ નદી કાંઠેના ૭ જેટલા ખેડૂતોની અંદાજિત ૧૫ વીંઘા જેટલી જમીન પાણી સાથે ઘસડાઈ ગઈ હતી. તેમ છતાં આ બાબતે તંત્ર હજુ પણ ગંભીર ન હોવાનું જાણવા મળ્યું હતું.
કરોડો રૂપિયાની જમીન પાણીમાં ધોવાઈ જતા અને ભારે પુર આવતા તંત્રએ માત્ર જીઆરડી જવાનો ગોઠવીને સંતોષ માન્યો હતો. વધુ જાનહાનિ થાઈ તો જવાબદાર કોણ? ૨ વર્ષ પહેલા જે સમયે આ ચેકડેમ બનવાનું શરૂ થયો હતો ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે, ચેકડેમમાં પાણીનો સંગ્રહ થશે અને ખેતી કરશે અને ખેડૂતો તેમજ આજુબાજુના ગ્રામજનો માટે આ ચેકડેમ આશીર્વાદરૂપ બનશે. પરંતુ વ્યારા ડ્રેનેજ વિભાગની કચેરી અંતર્ગત આ ચેકડેમની કામગીરીનો પ્રારંભ તો થયો હતો પણ યોગ્ય આયોજન વગર ચેકડેમનું કામ શરૂ થયું હતું. જેના લીધે સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી. અને ચેકડેમ બની ગયા બાદ સમયસર પ્રોટેક્શન વોલની કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ તે પૂર્ણ થઈ ન હતી. પરિણામે આ ચેકડેમ ખેડૂતો માટે આફતરૂપ બન્યો હતો. હવે શું આ ૭ ખેડૂતોની અંદાજિત ૧૫ વીઘા જેટલી કરોડોની જે જમીન ધોવાણ થઈ હતી તેની નુકશાનીની જવાબદારી શું વ્યારા ડ્રેનેજ વિભાગ લેશે? શું સરકાર આ બાબતે હજુ આંખ આડા કાન ધરશે? ખેડૂતોનો વિઘ્નહર્તા કોણ બનશે?