સુરત જિલ્લાની તમામ કોર્ટમાં 9મી ડિસેમ્બરે લોકઅદાલતનું આયોજન
સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ સિટિંગ દ્વારા વિવિધ કેસનું નિરાકરણ કરાશે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.9/12/2023ના રોજ ચોથી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના, નાણાની વસુલાતના, મજુર તકરારના, ઇલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારના ઘટાડા સિવાયના, જમીન સંપાદન રેફરન્સના, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા, મહેસૂલ તેમજ અન્ય દિવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા) જેવા વિવિધ પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે.
સીસીટીવી કંટ્રોલરૂમ-સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓન લાઈન તથા ઓફ લાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનીશીએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલિફોનિક માધ્યમથી ઈ-ચલણ ભરવા માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી, તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે.