ડાંગના સુબીર તાલુકાના ગૌવહાણના ગ્રામજનનો ચૂંટણી બહિષ્કારની ચીમકી
પાણી નહીં મળતા મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો; પાંચ દિવસમાં નિરાકરણ ન આવે તો ભૂખ હડતાળ કરવાની ચીમકી
![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/ડાંગ.webp)
ગૌવહાણ ગામ (બારીપાડા ફળિયા)ના રહીશોએ પાણીની સમસ્યા બાબતે સુબીર મામલતદારને આવેદન આપી ભુખ હડતાળ અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગૌવહાણ ગ્રામ પંચાયત હસ્તકના બારીપાડા ફળિયાના રહીશોએ સોમવારે સુબીર મામલતદારને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સને 2021ની સાલથી ગૌવહાણ (બારીપાડા) ગામે પાણીની સમસ્યા ઉભી થઇ છે. એ બાબતને લઈને દરેક ગ્રામ સભામાં એ પ્રશ્ન ઉભો થાય છે, તેમ છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. ગ્રા. પં.માં સમાવેશ તમામ યોજના હેઠળ 14 અને 15મા નાંણાપંચમાં ઘણાં સમયથી બોર આપવામાં આવે છે પણ ફક્ત ગૌવહાણ ગામમાં જ બોર ઉતારવામાં આવે છે. આજદિન સુધી ગૌવહાણ ગામના (બારીપાડા ફળિયા)માં પાણીની સુવિધા પુરી પાડી નથી. જેથી લેખિતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. પાંચ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો પાંચ દિવસ પછી ગૌવહાણ (બારીપાડા ફળિયા)ની મહિલાઓ ભુખ હડતાળ પર ઉતરી જશે અને સાથે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.