માંડવી કીમ રોડમાં અડચણરૂપ થતાં ઘરો, દુકાનોને યથાવત રાખવા માંગ
માર્ગ નવીનકીરણમાં તડકેશ્વરમાં 55 દુકાન તથા 35 મકાનને અસર
માંડવી કીમ રોડને ફોરલેન્ડ તથા મજબૂતીકરણની કામગીરીમાં નડતર એવા બાંધકામને દૂર કરવા માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ નોટિસ બાદ આજરોજ અસરગ્રસ્ત માલિકો દ્વારા માંડવી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી મિલકતોને યથાવત રાખાવા માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત આવતાં માંડવી કીમ માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેથી વિભાગ દ્વારા કીમથી તડકેશ્વર સુધી ફોર લેન માર્ગ બનાવવાની જાહેરાત સાથે કામગીરી હાથ ધરી બિનઅધિકૃત દબાણ કરનારાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ઘણા અસરગ્રસ્તોએ સ્વૈચ્છિક દબાણ હટાવી પણ લીધા હતાં. ત્યારબાદ આવેદનપત્ર આપી ડિમોલિશનથી ઘણા ઘર વિહોણા થઈ જતાં હોવાની ઉપરાંત દુકાનો દૂર થતાં પરિવારની આવક બંધ થઈ જતાં કફોડી હાલતમાં મુકાઈ જતા હોવાનું જણાવી દુકાનો તથા રહેણાંક મકાનોને યથાવત રાખવાની માગ કરવામાં આવી હતી .