નર્મદા

TDOને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ બંધ ઓફીસમાં ધાક ધમકી આપી હોવાનો સાંસદ માનસુખભાઈ વસાવાનો આક્ષેપ

ફરી બંને સામ-સામ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવી દીધા

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે ત્યારે, આજે ડેડીયાપાડા ખાતે ભરુચ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. જે દરમિયાન મામલો વધુ ગરમાતા ડેડીયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો. આ બબાલ દરમિયાન મનસુખ વસાવા અને ચૈતર વસાવાના સમર્થકો આમને સામને આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ડેડીયાપાડા TDOને ધારાસભ્યએ બંધ ઓફીસમાં ધાકધમકી આપી હોવાનો સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ કરતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મુકતા મામલો બીચકાયો હતો.

મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાનાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી કરાય. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતાં ઓફિસકર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. જે બાબતની જાણ થતાં હું તત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું. જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈપણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે.

‘પુરાવા રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો’ : ચૈતર વસાવા

મનસુખ વસાવા જેવાં ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે, તમે જે આક્ષેપ કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો. હું ડેડીયાપાડા ટીડીઓ પાસે આયોજનની ફાઈલ લઈને ગયો હતો. ત્યારે એમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો. મેં એમને ધમકાવ્યા નથી. ટીડીઓને તકલીફ હોય તો એ કેમ ફરિયાદ નથી કરતા તમે ડેડીયાપાડાનો માહોલ બગાડી અહીંયા ખોફ ઉભો ના કરશો.

મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને

ત્યારે સામે મનસુખ વસાવાએ કહ્યું કે, હું નહિ તું અહીંયા ખોફ ઉભો કરે છે. હું અહીંયાનો સાંસદ છું, મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે. તો ચૈતર વસાવાએ કહ્યું એ તો 4 જૂને ખબર પડશે. વધુમાં ચૈતર વસાવાએ કહ્યું ‘છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ, ડેડીયાપાડામાં મનરેગા, નલ સે જલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું ન કર્યું, હમણાં તમારી સરકાર છે.’

‘તમને શરમ આવવી જોઈએ’ : ચૈતર વસાવા

આ સમગ્ર ઘટના દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું કે, તારી પાસે આટલો પૈસો કેવી રીતે આવ્યો ભ્રષ્ટાચાર કરીને. તો ચૈતર વસાવાએ સામે કહ્યું કે, મારો દોઢ લાખ પગાર છે. તારી જેવો હું બુટલેગર નથી. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને કહ્યું કે, તમે દારૂના બુટલેગર અને આંકડાનો ધંધો કરતા લોકો સાથે ફરો છો તમને શરમ આવવી જોઈએ. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું કે, તું નકલી દારૂ વેચવાનું બંધ કરી દે.

પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો

આ ઘટના દરમિયાન માહોલ ગરમાયો હતો. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે એટલી હદે બોલાચાલી થઇ હતી કે જો પોલીસ વચ્ચે ન આવી હોત તો બન્ને વચ્ચે હાથાપાઈ થઈ જવાની પણ સંભાવનાઓ હતી. આ સમગ્ર ઘટના દરમિયાન ડેડીયાપાડાનું વાતાવરણ ગરમાયું હતું. બીજી બાજુ ભરૂચ લોકસભાની મતગણતરી બાદ ડેડીયાપાડાનું વાતાવરણ કેવુ તંગ બનશે એની પર પોલીસ અને લોકોની નજર છે.

Related Articles

Back to top button