![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/f1d46972-7700-43ac-b95d-bf06b31afb20_1713099818432.webp)
કામરેજ તાલુકાના દિગસ ગામ ખાતે પાવરગ્રીડની 765 kvની વીજલાઈનના વિરોધમાં સુરત જિલ્લા ખેડૂત સમાજની મિટિંગ મળી હતી. સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ગામે ગામથી ખેડૂતો હાજર રહ્યા હતા. સભામાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલે આવનાર લાઈનની બિલ્ડીંગ કંટ્રોલ લાઈનનો વિસ્તાર, એ વિસ્તારનું વળતર, ભૂતકાળમાં મળેલા વળતરો વિગેરે માહિતીઓથી ખેડૂતોને અવગત કર્યા હતા.
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગગૃહો માટે મીઠાં પાણીની મૂળભૂત જરૂરિયાત દક્ષિણ ગુજરાત પૂરું પાડવા સક્ષમ હોવાથી અને દુષિત પાણીના નિકાલ માટે પણ દક્ષિણ ગુજરાતમાં દરિયો ખુબ નજીક હોવાથી દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટે સ્વર્ગ સમાન છે. ઔદ્યોગિક વિકાસના આ પ્રવાહમાં રસ્તાઓ અને વીજલાઈનો ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની ખેડૂતોની સાથે ખેડૂતોનું પણ નિકંદન નીકળી જશે. જેથી સંગઠિત રહી લડત આપવા આહવાન કર્યું હતું. એમણે અમદાવાદથી લઈને નવસારી સુધીના બધા જિલ્લાઓના ખેડૂતોને એકજૂથ કરી વિશાળ જનઆંદોલન ઉભું કરવાની તૈયારી દર્શાવી હતી.
ખેડૂતોએ પણ ખુબ આક્રોશ સાથે એકસુરે કોઈ પણ સંજોગોમાં આ વીજ ટ્રાન્સમિશન લાઈન ન લઇ જવાં દેવા માટે નક્કી કર્યું હતું. સાથે સાથે ખેડૂતોએ ટૂંક સમયમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી જિલ્લા કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર આપવા ઠરાવ્યું હતું. જેના ભાગરૂપે પલસાણા પંથકમાં પણ ખેડૂતોની એક મિટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ તાલુકાના ખેડૂત આગેવાન સહિત કામરેજ સહિત આજુબાજુ ના તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.