રાજ્ય કક્ષાના ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ CMના હસ્તે તાપી જિલ્લાથી કરાયો
ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત આદિવાસી જમણનો સ્વાદ માણ્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/Songadh-in-CM-Gujarat.webp)
આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા મુકામે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નરેન્દ્ર મોદી દ્વારા મેરી મિટ્ટી મેરા દેશના રાજ્ય કક્ષાના ઉજવણીના કાર્યક્રમનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાપી જિલ્લાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજનો દિવસ આદિવાસી બંધુઓ માટે સૌથી ખાસ દિવસ છે. આજના દિવસે મુખ્યમંત્રી બહુલ આદિવાસી જિલ્લા તાપીમાં પધારતા હોય તો પરંપરાગત આદિવાસી જમણવારનો સ્વાદ તો માણવો જ રહ્યો.
મહત્તમ આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના ગુણસદા ખાતે રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આદિવાસી સમાજની વિવિધ યોજના તેમજ શૈક્ષણિક યોજનાની માહિતી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ દ્વારા આદિવાસી સમાજના હક્કો અધિકારો તેમજ શૈક્ષણિક યોજનાની જાણકારી આપી વિવિધ યોજનાના ઇ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સાથે આદિવાસી સમાજના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત મહિલા રમીલાબેન ગામીતનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ રમતોમાં રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા આદિવાસી સમાજના દીકરા દીકરીઓનું ખાસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રી દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનો પ્રારંભ રાજ્ય કક્ષાના ગુણસદા ખાતે આવેલી આશ્રમશાળાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ વીર શહીદ એવોર્ડથી રિટાયર આર્મીના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આશ્રમશાળાની છાત્રાલયની ઓચિંતી મુલાકાત લેતા આશ્રમશાળામાં વીજળીના તાર છુટા હોવાનું તેમજ મકાન જર્જરીત હોવાનું ધ્યાને આવતા તાપી કલેક્ટર સહિત અધિકારીઓને કડક સૂચના આપી હતી.
પરંપરાગત આદિવાસી જમણનો સ્વાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માણ્યો
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જ્યારે મુખ્યમંત્રીને જમવા અંગે પુછવામાં આવ્યું, ત્યારે CMએ પોતે કોઇ એજન્સીને જમણવારનો કોન્ટ્રેક્ટ આપવા કરતા, કોઇ લાભાર્થી આદિવાસી બંધુના ઘરનું ભોજન માણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સ્વભાવે મૃદુ અને મિતભાષી મુખ્યમંત્રીએ આજે સોનગઢ તાલુકાના PMAY અર્બન યોજનાના આદિવાસી લાભાર્થી સોનાબેન મગનભાઈ પવારના ઘરે જમણવાર માણ્યું હતું.
મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ કરી જ્યારે લાભાર્થીના ઘરે પધાર્યા ત્યારે, સૌ પ્રથમ તેમણે PMAY અર્બન યોજના અંતર્ગત અને પોતાની બચતમાંથી ઉભુ કરેલુ લાભાર્થીનું ઘર જોઇને ખુશ થયા હતા. ફ્રેશ થયા બાદ જ્યારે મુખ્યમંત્રી જમવા બેઠા, તો ભોજનમાં કઇંક નવિનતા જોતા તુરંત જ તેઓનું ધ્યાન ભોજનની થાળી ઉપર ગયું હતું. ભોજનની થાડી જોતા સમજી ગયા હતા કે આ પરંપરાગત આદિવાસી જમણ છે. પરંતુ પોતે કાંદા લસણ વગરનું ભોજન જમતા હોઇ, આ અંગે તેમણે લાભાર્થી બેન પાસે ખાત્રી કરી હતી.
ભોજન અંગે લાભાર્થી બહેને જયારે મુખ્યમંત્રીને જાણકારી આપી જણાવ્યું હતું કે, તેઓના પરિવાર દ્વારા ખાસ આપના માટે પરંપરાગત આદિવાસી જમણવાર તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે CM આ વાત જાણીને ખુબ જ રાજી થયા હતા. સાથે ઉપસ્થિત મંત્રીઓ અને ધારાસભ્યએ મુખ્યમંત્રીને તાપી જિલ્લાની પ્રખ્યાત વાનગીઓ અંગે જાણકારી આપી હતી.
તેમણે દરેક ભોજન સામગ્રીનો સ્વાદ માણી ભરપેટ ભોજન ગ્રહણ કર્યું હતું. મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોએ પણ તાપી જિલ્લાનો આદિવાસી સ્વાદ માણી જઠરાગ્નીને તૃપ્ત કરી હતી. ભોજન બાદ મુખ્યમંત્રીએ બહેનોને મળી તેમણે બનાવેલા ભોજનની સરાહના કરી, પરિવારજનો સાથે યાદગીરીરૂપે તસ્વીરો પણ લેવડાવી હતી. મુખ્યમંત્રીએ પરિવારજનો સાથે વાર્તાલાપ કરતા તેઓને જણાવ્યું હતું કે, “ભોજન એટલુ સ્વાદિસ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. આવા જમણવાર માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવુ પડશે.” CMએ હસ્તા હસ્તા આટલી જહેમત ઉઠાવી લાભાર્થી પરીવારે સ્વયં ખાસ તૈયાર કરેલા આદિવાસી ભોજન માટે ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.