માનવ સર્જીત કે કુદરતીઃ નર્મદાના આ અધિકારીએ કહ્યું, ‘ડેમમાંથી પાણી છોડવું અને ભારે વરસાદ પડવો બંને કુદરતી સંયોગ’
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/narmda-dem.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બર્થડેમાં ઝાકમઝોળ બતાવી ચાપલુસી કરવાની લ્હાયમાં નર્મદાના ડેમનું પાણી સંગ્રહી રાખવામાં આવ્યું અને તે જ કાળે ભારે વરસાદ પડતા પાણી એક સામટું છોડાયું જેના કારણે ભરૂચ, અંકલેશ્વર સહિતના જિલ્લાઓમાં લોકોના ઘરો ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ ખુદ ગુજરાત સરકારના તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાના સતત આરોપો લાગી રહ્યા છે ત્યારે આ અંગે નર્મદાના કમાન્ડ એરિયા ડેવલોપમેન્ટ અધિકારી પી સી વ્યાસે નર્મદા ડેમના તમામ સ્ટાફ સહિત તંત્રના બચાવમાં આ ઘટનાને કુદરતી સંયોગ કહ્યો હતો. જોકે આટલા સામાન્ય ગણિત જનતા પણ સમજતી હોઈ હાલ સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘણા વિસ્તારોમાં ફરકતા નેતાઓને પણ ધ્રુજારી થઈ ગઈ છે. કયા મોંઢે જવું અને ક્યાંક કોઈ નારાજગી સાથે ઉતારી પાડશે તો? આ પ્રશ્નો ઊભા થયા છે ત્યારે પી સી વ્યાસે આ ઘટનાને એક સંયોગ ગણાવ્યો છે.
શું કહ્યું પી સી વ્યાસે આવો જાણીએ
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમ કોઈકના કોઈક રીતે રાજકીય ચર્ચામાં આવતો હોય છે. તાજેતરમાં જ પડેલા વ્યાપક વરસાદથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જે માનવસર્જિત ભૂલ હોવાના આક્ષેપો વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ટેકનિકલ રીતે પણ કામગીરી યોગ્ય નહીં કરવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ બાબતની સ્પષ્ટતા કરવા અને એન્જિનિયર કે વહીવટી તંત્રનો કોઇ વાંક નહીં હોવાના ખુલાસા નર્મદા નિગમને આપવાની ફરજ પડી હતી. આજે આ બાબતે કમાન્ડ એરિયા ડેવલોપમેન્ટ નર્મદાના પીસી વ્યાસે ચાલી રહેલા વિવાદ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, 14 સપ્ટેમ્બર સુધી નર્મદા ડેમ ભરાયો ન હતો. એટલું જ નહીં વહીવટી તંત્ર અને ડેમના એન્જિનિયરોની નિષ્ઠા ઉપર શંકા કુશંકા કરવી જોઈએ નહીં પરંતુ 16 અને 17 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદ પડવો અને નર્મદા ડેમમાંથી પાણી છોડવું આ બંને કુદરતી સંયોગ હોવાનો દાવો કર્યો હતો