જે. કે. પેપર મિલમાં મજૂરોને છૂટા કરવા નોટિસ આપતા હાહાકાર
મજુર વર્ગના લોકો રોજ સવારે કામ પર જાય છે, અને સાંજે આવીને મજૂરીમાંથી પોતાના ઘરનું ઘર ગુજરાન ચલાવે છે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
સોનગઢ ઉકાઈ રોડ પર ગુણસદા ગામે ચાલતી જે કે પેપર મિલના સંચાલકો દ્વારા રોજગારીના મુદ્દે અવાર-નવાર સ્થાનિક લોકો સાથે અન્યાય કરવામાં આવે છે. ખાસ કરીને સ્થાનિક આદિવાસી સમાજના ભાઈ બહેનોને રોજગાર આપવાના બદલે પર પ્રાંતના લોકો અહીં નોકરી કરતાં જોવા મળી રહ્યાં છે. મિલમાં ઘણા કામ માટે કામદારોની સીધી ભરતી કરવામાં નથી આવતી પણ જે તે કામગીરીનો કોન્ટ્રાક્ટ ફાળવી દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોની ભરતી કરી મનમાની મૂજબ નિયમ કરતાં ઓછો પગાર ચૂકવી મનમાની કરતાં હોવાની ફરિયાદ પણ કામદારો કરી રહ્યાં છે.
મિલમાં આ કોન્ટ્રાક્ટ પ્રથા છેલ્લા વીસ વર્ષથી ચાલી રહી છે અને તે હેઠળ સેંકડોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો રોજગારી મેળવતાં હોય છે. ગત દિવસે મિલ મેનેજમેન્ટ દ્વારા આવા કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોનો કોન્ટ્રકટ 31/10/23 ના રોજ પૂર્ણ થતો હોવાથી તેમને તા. 1/11/23થી મિલમાંથી છુટા કરવાની નોટિસ આપવામાં આવી હતી અને હાલ જ્યાં કોન્ટ્રકટના કામ હેઠળના મશીનો ચાલે છે એને ખસેડી લેવાની તૈયારી થતાં કામદારોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.
તેઓ સોમવારે સવારે મિલના ગેટ પાસે ભેગા થઈ આવતાં જતાં વાહનો ને અટકાવી દીધાં હતાં અને અંદાજિત બે કલાક જેટલો સમય ચક્કાજામ જેવી સ્થિતિ ઉભી કરી દીધી હતી. કામદારોએ રાજ્ય મંત્રી કુંવરજીભાઈને રજૂઆત કરતાં તેઓ ગુણસદા દોડી આવ્યાં હતાં અને બંને પક્ષની રજૂઆત સાંભળી પ્રશ્નનો નિવેડો લાવવા ખાત્રી આપવામાં આવતાં કામદારોએ હાલ પૂરતું પોતાનું આંદોલન સ્થગિત કર્યું છે. આ સમયે આવુ કરવુ યોગ્ય નથી તાલુકામાં રોજગારી ના કોઈ ખાસ અવસર ઉપલબ્ધ નથી ત્યારે ગુણસદા ગામમાં કાર્યરત પેપર મિલ અને થર્મલ પાવર સ્ટેશન રોજગારી માટે એક માત્ર આધાર છે. પેપર મિલમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ હેઠળ ના કામદારો રોજગારી મેળવતાં આવ્યાં છે ત્યારે સામી દિવાળી એ આવા કામદારો ને છુટા કરવા ની નોટિસ આપવી એ કોઈ રીતે વ્યાજબી નથી.