![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/સોનગઢ-તાલુકા-પંચાયત.webp)
દક્ષિણ સોનગઢ તાલુકાના એક ગામ ના સરપંચ પોતાના વિસ્તાર ના લોકો પાસે ખેતર માં બોર કરાવવાના નામે અને આવાસ યોજના નો લાભ આપવાનું કહી રોકડા રૂપિયા ઉઘરાવી ગજવે ઘાલી દીધાં હતાં.આ સરપંચ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા માટે ભોગ બનેલાં લોકો એ તાલુકા પંચાયત ખાતે રજુઆત કરી હતી.
આ અંગે મળેલી વિગત મુજબ દક્ષિણ સોનગઢ તાલુકાના એક ગામ ના સરપંચ તેમના કાર્ય વિસ્તાર માં આવેલાં ગામડાં માંથી લોકો પાસે ખેતરમાં બોર કરાવવાના નામે રૂ.12,500 અને આવાસ યોજના નો લાભ અપાવવાના નામે રૂ.25,000 ની રોકડ રકમ ઉઘરાવી લીધાં બાદ લોકો સાથે ખોટા ખોટા વાયદા કરતાં હોય ભોગ બનેલાં લોકો તાલુકા પંચાયત કચેરી એ આવ્યાં હતાં. તેમણે તાલુકા પંચાયત પ્રમુખ સમક્ષ સરપંચ વિરુદ્ધ ઉગ્ર રજુઆત કરી હતી. આ સંદર્ભે તાલુકા પ્રમુખે તે સરપંચ ને લોકોના રૂપિયા ઝડપ થી પરત ચૂકવી આપવાની સૂચના આપી હાલ તો અરજદારોને પરત વાળી દીધા છે. આ સરપંચ છેલ્લા એકાદ વર્ષ થી લોકો પાસેથી જુદા જુદા બહાને રૂપિયા ઉઘરાવે છે અને એનો ઓળીયો કરી જાય છે. આ ગામડાંમાંથી અંદાજિત 50 કરતાં વધુ અરજદારો સાથે આ સરપંચે બનાવટ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાબુ ભાઈ ગામીત નામના એક અરજદાર પાસેથી પણ આ સરપંચે આવાસ યોજનાનો લાભ આપવાનું કહી રૂ.25000 પડાવી લીધાં હતાં. આ અરજદાર છેલ્લા એક વર્ષથી ન તો આવાસ યોજનાનો લાભ મળ્યો કે ન તો રૂપિયા પાછા મળ્યાં હતાં. અરજદારે રૂપિયા પરત મેળવવા માટે ભારે દબાણ ઉભું કરતાં આખરે ગત ઓક્ટોબર માસમાં તેને રૂ. 25000ની કિંમતનો ડુપ્લીકેટ ચેક આપી દીધો હતો.
જો કે બાદમાં આગેવાનો વચ્ચે પડતા બાબુભાઇના રૂપિયા તો નીકળી ગયાં પણ અન્ય અરજદારો હજી પણ પોતાના રૂપિયા ગુમાવીને બેઠા છે. ટૂંકા ગાળામાં સરપંચ રૂપિયા પરત ન આપે તો અરજદારો કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યાં હોવાની વિગત પણ જાણવા મળી છે ત્યારે તાપી જિલ્લા વિકાસ અધિકારી આવા સરપંચ સામે પગલાં ભરે અને લોકો ને ન્યાય અપાવે એવી માંગ ઉભી થઇ હતી.