![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
બારડોલી નગરપાલિકાના ગત ટર્મના શાસકો દ્વારા કરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર મામલે દર્શન નાયકની અરજીને ધ્યાને લઈ મ્યુનિસિપાલિટી કમિશ્નર દ્વારા નગરપાલિકા અધિનિયમની કલમ 70 હેઠળ પ્રાદેશિક નગરપાલિકા કચેરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને બારડોલી નગરપાલિકાનું રાજકારણ ગરમાય ગયું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નયાક દ્વારા ગત 18 ઓક્ટોબરના રોજ બારડોલી નગરપાલિકાના તત્કાલિન નગરસેવકો તેમજ પદાધિકારીઓ સામે ધી ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963ની કલમ 37 ક અને 70 ક હેઠળ કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી. સાથે સાથે તત્કાલિન બાંધકામ સમિતિના ચેરમેન ભીમસિંહ પુરોહિત દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ તપાસ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલને આધારે દર્શન નાયક દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામાં આવી હતી.
આ તપાસ અહેવાલમાં કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. જે મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી 17 જેટલા મુદ્દાઓને લઈને દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ મુદ્દે મુખ્યમંત્રીએ દર્શન નાયકની ફરિયાદને આધારે નિયમોનુસાર કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીની જાણ કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવને જણાવ્યુ હતું.
દરમ્યાન આ મામલે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં ગત ટર્મના નગર સેવકોની ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય કલમ 37 હેઠળ કાર્યવાહી કરવાની થતી ન હોવાનું જણાવ્યુ છે. જ્યારે કલમ 70 હેઠળ તપાસ કરવા અને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે નગરપાલિકા પ્રાદેશિક કચેરી સુરતને આદેશ આપવામાં આવ્યો છે.