![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામે આવેલ જે.જે.સ્ટોન ક્વોરીમાં આડેધડ થતાં બ્લાસ્ટીગ અને ખોદકામને લઈ ગ્રામજનોની ક્વોરી સંચાલકો સાથે છેલ્લા ઘણાં સમયથી બબાલ ચાલી રહી હતી. ઘેરિયાવાવ, કસવાવ અને ઉમરકચ્છ ગામના આગેવાનો દ્વારા ક્વોરી બંધ કરાવવા કલેકટરને અનેકો વખત આવેદન આપવામાં આવ્યાં હતાં. ભૂસ્તરે ગામને અડીને આવેલ આ સ્ટોન ક્વોરીને છેલ્લા બે આવેદનોની નોંધ લઈ હાલ પુરતું ખાણકામ બંધ કરવા આદેશ કર્યો છે.
આ ક્વોરીમાં આડેધડ બ્લાસ્ટ કરાતા આસપાસના વિસ્તારોમાં પથ્થરો ઉઠવાના બની રહ્યા હતાં. ખાણ ખુબજ ઉંડી થઇ ગઈ છે. જેનું તાત્કાલિક પુરાણ કરવા અને ખાણની બાજુમાં આવેલ જોખમી રસ્તામાં સુરક્ષા દીવાલ બનાવાવ માટે ત્રણ ગામના ગ્રામજનો એકત્ર થઇ વ્યારા કલેક્ટર અને ભૂસ્તર વિભાગમાં અગાઉ આવેદન આપી જોખમી ક્વોરીમાં બ્લાસ્ટીગ બંધ કરવાની માંગ કરી હતી.
વ્યારાના ઘેરિયાવાવ ખાતેની આ બબાલ વધતા અગાઉ પણ આ ક્વોરી બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ફરી ક્વોરી ધમધમતી કરી દેતાં આ ક્વોરીનો વિવાદે ફરી ચરમસીમા ઓળંગી હતી. જેથી તાપી ભૂસ્તર અધિકારી ના છુટકે જે.જે. સ્ટોન ક્વોરીમાં ખાણ કામ બંધ કરવા આદેશ કરવાની ફરજ પડી હતી.
ભૂસ્તરે લીઝધારક લાલજીભાઇ ઉકાભાઇ ગુજ્જરને જણાવ્યું છે કે તા.૨૧/૦૮/૨૦૨૩ તથા તા.૧૮/૦૯/૨૦૨૩ના રોજ ઘેરીયાવાવના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું. તેનાં સંદર્ભમાં ઘેરીયાવાવ સ.નં.૧૭૯ પૈકીમાં ૨.૦૦.૦૦ હેક્ટર વિસ્તારમાં શ્રી જે.જે. સ્ટોન ક્વોરી પ્રો.લાલજીભાઇ ઉકાભાઇ ગુજ્જરના નામની બ્લેકટ્રેપ ખનિજની ક્વોરીલીઝ મંજુર કરવામાં આવી છે. જે ગ્રામજનોના તા.૨૧/૦૮/૨૦૨૩ તથા તા.૧૮/૦૯/૨૦૨૩ના રોજના આવેદનપત્રને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી અન્ય કોઇ હુકમ ન થાય ત્યાં સુધી ક્વોરીલીઝ વિસ્તારમાં ખાણકામ બંધ કરવાનુ રહેશે અન્યથા નિયમોનુસારની કાર્યવાહી કરવા જણાવ્યું છે.