![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/Sansad.webp)
22 વર્ષ પહેલા આજના દિવસે જ સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. બુધવારે આ જ હુમલાની વરસી નિમિત્તે સંસદમાં વધુ એક ઘટના બની. અહીં લોકસભામાં બે લોકો ગૃહની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, બંને પાસે ‘ગેસ કેનિસ્ટર’ પણ હતા.
આજે ફરી સંસદમાં સુરક્ષામાં ચૂક
13 ડિસેમ્બર 2001ના રોજ સંસદમાં સુરક્ષાની ચૂક થઈ હતી. ત્યારે હથિયારો સાથે આતંકવાદીઓ સંસદભવનમાં ઘુસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં નવ સુરક્ષા જવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલો પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠને કરાવ્યો હતો. એ હુમલાનો ઘા હજુ રૂઝાયો નથી, ત્યાં આજે ફરી સંસદમાં સુરક્ષામાં ચૂક થઈ છે.
સુરક્ષા વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ફરક માત્ર એટલો છે કે તે સમયે આવું કરનારા પાડોશી દેશોના આતંકવાદીઓ હતા અને આજની ઘટનાને અંજામ આપનારા આપણાના જ દેશના લોકો હતા. આ ઘટનાએ સંસદ ભવનની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો તો ઉઠાવ્યા જ છે. સાથે જ એ વિચારવા પર મજબૂર કર્યા છે કે જો લોકશાહીનું મંદિર એટલે કે સંસદ જ સુરક્ષિત નથી તો સામાન્ય લોકો કેટલા સુરક્ષિત છે.
આજે શું થયું સંસદમાં?
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે બે લોકો અચાનક પબ્લિક ગેલેરીમાંથી લોકસભા ચેમ્બરમાં કૂદી પડ્યા. તેમના હાથમાં કેનિસ્ટક હતા, જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. ચિદમ્બરમે કહ્યું કે બેમાંથી એક સ્પીકરની ખુરશી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સાથે આ લોકો કેટલાક સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ સુરક્ષાની મોટી ચૂક છે. તેની ગંભીરતા એટલા માટે વધારે વધી જાય છે કારણ કે આ દિવસે 2001માં સંસદ પર હુમલો થયો હતો.
સંસદ ભવનમાં કેવી રીતે પ્રવેશી શક્યા?
નોંધનીય છે કે, ગૃહની વિઝિટર ગેલેરીના ગેટ પર ગાર્ડ પણ તૈનાત હતા, જ્યાં આ ઘટના બની.આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કેનિસ્ટરની સાથે આ લોકો સંસદ ભવનમાં કેવી રીતે પ્રવેશી શક્યા. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે આ અંગે કહ્યું કે, સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે પૂછ્યું કે તેઓ અંદર કેવી રીતે ઘુસી ગયા. તેમણે તેને સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી ગણાવી હતી.
2001માં શું થયું હતું?
13 ડિસેમ્બર 2001ની સવારે લગભગ 11.40 મિનિટે પાંચ આતંકવાદીઓ સંસદ ભવન પરસરમાં ઘુસી ગયા હતા. તેઓ એક કારમાં આવ્યા હતા, જેની વિન્ડશિલ્ડ પર હોમ મિનિસ્ટ્રીનું નકલી સ્ટીકર લાગેલું હતું. શંકાસ્પદ જણાતા કારને પાછળ જવા માટે કહેવામાં આવ્યું, ત્યારબાદ આતંકવાદીઓ નીચે ઉતર્યા અને ગોળીબાર શરૂ કર્યો. તે સમયે સંસદ ભવનમાં 100થી વધુ મંત્રીઓ અને સાંસદો હાજર હતા.
9 લોકોએ ગુમાવ્યા હતા જીવ
આ ગોળીબાર 30 મિનિટથી વધુ સમય સુધી ચાલ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પાંચેય આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ આઠ સુરક્ષાકર્મીઓ અને એક માળીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ સાથે 15 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનોએ કરાવ્યો હતો. આ આત્મઘાતી હુમલો કરનાર પાંચ આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા.