ડાંગના સાદડવિહીર ગામે પાણી પુરવઠા યોજનામાં ભંગાણથી 19 ગામના લોકો નલ સે જળથી વંચિત
પૂર્ણાં નદીમાં ઘોડાપુર આવતા ચેકડેમની કિવોલ તૂટીને ગાબડું પડતા પાણી નકામું વહી ગયું હતું
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ સાદડવિહીર ગામે લોકમાતા પૂર્ણાં નદીના પટમાં સને-2014-15મા રૂ. 1189.10 લાખના માતબર ખર્ચે ચેકડેમ સહિત જૂથ યોજના બનાવી હતી. જેમાં ચેકડેમ, ઇન્ટેક વેલ, પંપહાઉસ, સ્ટાફ ક્વાર્ટર, સંપ 1.40 લાખ લીટર, 2 લાખ લીટર અને 20 હજાર લીટર, એચ.જી.એલ.આર – 18 તેમજ પાઇપ લાઇન 35150 મિટર (એચ.ડી.પી.ઇ) નો સમાવેશ કરાયો હતો. આ તમામ કામ પૂર્ણ કર્યા બાદ 19 ગામોમાં પીવાનું પાણી વિતરણ કરાયું હતું પરંતુ ગત 2022ના જૂન મહિનામાં પૂર્ણાં નદીમાં ઘોડાપુર આવતા ચેકડેમની કિ વોલ તૂટીને ધોવાઈ જતા બાજુની ખેતરની જમીન સાથે ચેકડેમમાં ગાબડું પડતા ચેકડેમનું પાણી નકામું વહી ગયું હતું.
જેના કારણે આ તમામ 19 ગામોને આવરી લેતી જૂથ યોજના પડી ભાંગી હતી. હાલ જૂથ યોજનામાં બનેલ સંપ ટાંકી જર્જરિત અવસ્થામાં છે, કેટલાક ગામોમાં સ્ટેન્ડ પોસ્ટનું નામોનિશાન મટી જવા સાથે હવાડા કચરાના ઉકરડામાં ફેરવાયાછે. કેટલીક જગ્યાએ પાઈપ લાઇન ઉખડી તૂટી જતા તંત્ર દ્વારા ચેકડેમ રિપેર કર્યા બાદ એક વર્ષનો સમય પસાર થયા બાદ જૂથ યોજનાના ગામો સુધી પીવાનું પાણી પહોંચશે કે કેમ તે કોયડો બની ગયો છે.
સાદડવિહીર ગામે તૂટેલા ચેકડેમની મરામત માટે પાણી પુરવઠા વિભાગે સમયસર તસ્દી ન લેતા છેલ્લા એક વર્ષથી હાલ સાદડવિહીર જૂથ યોજનાના કમદયાવન, નીઆંબા, વાંઝીટ ટેબરૂન, કરંજડી, ગારખડી, આહિરપા ડા,ઝરી, જામન્યા, હારપાડા, ટાંકલીપાડા, વણઝારઘોડી ,પીપલાઈદેવી, પીપલપાડા, હિંદલા, બોકડમાળ, વડપાડા, ચિચપાડા,ધુડા,જેવા ગામોમાં જૂથ યોજના સદંતર ઠપ થઈ જતા સરકારી કરોડો રૂપિયાનો આંધણ કરવા છતાં નલ સે જળ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકતું નથી.
ચેકડેમનું હાલ રિપેરીંગ કામ ચાલુ છે
સાદડવિહીર જૂથ પાણી પુરવઠા યોજનામાં ગત વર્ષે ચેકડેમ ધોવાતા પાણી વિતરણ બંધ થયાની રજૂઆત આવી છે. આ ધોવાઈ ગયેલ ચેકડેમનું રિપેરીંગ હાલ ચાલુ છે અને વહેલી તકે ચેકડેમનું કામ પૂર્ણ કરી પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવા સંબંધિત વિભાગને જાણ કરી છે.> નિર્મળાબેન ગાઇન, પ્રમુખ, ડાંગ જિ.પં.
ગુણવત્તાનું બાંધકામ કરાવે તે જરૂરી
સાદડવિહીર જૂથ પાણી પુરવઠા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાયો છે. હાલ ચેકડેમનો મરામત કામગીરી શરૂ કરી હોય ઇજારદાર દ્વારા નકરી વેઠ ઉતરાય રહી છે. જે મરામત થયા બાદ ચોમાસાના વરસાદ કે માવઠામાં જ પાછું ધોવાણ થવાની સંભાવના છે, જેથી તંત્ર સારી ગુણવત્તાનું બાંધકામ કરાવે તે જરૂરી છે. > નિલેશભાઇ ઝામરે, પ્રમુખ, ડાંગ બીટીપી
હાલ બોરિંગથી પીવાનું પાણી મેળવી રહ્યાં છે
ભૂગર્ભ જળ હોય લોકોને બોરિંગથી પીવાનું પાણી મેળવી રહ્યા છે. હોળીની આસપાસ પીવાના પાણીની તીવ્ર અછત સર્જાય છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જૂથ યોજનાનું પાણી વહેલી તકે ચાલુ કરે તે જરૂરી છે. >નિલેશભાઇ ઠાકરે, આગેવાન.