તાપી જિલ્લાના ડોલવણ તાલુકા મથક ખાતે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી-2024ના રોજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલજીના વરદ હસ્તે નવનિર્મિત સીવીલ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/બારડોલી.webp)
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા મથક ખાતે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી-2024ના રોજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલજીના વરદ હસ્તે નવનિર્મિત સીવીલ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પક્ષકારોને કેન્દ્ર સ્થાને રાખી અંદાજીત રૂ.6.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યત્તન બિલ્ડીંગને વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લી મુકતા અગ્રવાલજીએ જણાવ્યું હતું કે, નામદાર ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડની દીર્ધદ્રષ્ટિને ધ્યાને રાખી ભવિષ્યમા ઈ-ફાઈલીંગ તથા ઈ કોર્ટ(વર્ચ્યુઅલ કોર્ટ) હીઅરીંગ પણ થઈ શકે તે માટે હાલની કોર્ટમાં અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
હાઈકોર્ટના એડમીનીસ્ટ્રેટીવ જ્જ ઓફ ધ ડિસ્ટ્રીકટ અનિરૂધ્ધ પી. માયીના અધ્યક્ષ સ્થાને આજેરોજ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેસન્સ જજ એન.બી.પીઠવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ઈ.ચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ સહિત બાર એસોશિએશનની ઉપસ્થિતિમાં વિધિવત કોર્ટ બિલ્ડીંગનો શુભારંભ કરાયો હતો.
મુખ્ય અતિથિ એડમીનીસ્ટ્રેટીવ જ્જ ઓફ ધ ડિસ્ટ્રીકટ અનિરૂધ્ધ પી. માયી એ બાર એસોશિએશન અને સીનીયર વકીલો સહિત પક્ષકારોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બિલ્ડીંગ સુવિધાસભર બનાવવામાં આવ્યું છે. સાક્ષીઓને ઉભા રહેવુ ન પડે વધુમાં પક્ષકારો સુમેળભર્યા વાતાવરણમાં સમાધાન કરવા ઈચ્છે તો તે માટે અલગથી મીડીયેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. પક્ષકારો તથા વકીલો બંને પોતાની જીત થઈ હોય તેવા અનુભવ સાથે હાથ મીલાવીને હસતા મોઢે પોતપોતાના ઘરે જાય તેવી અપેક્ષા છે. અંતરિયાળ વિસ્તારમાં આધુનિક ભવનથી લોકોને ફાયદો થશે. કેસનો ઝડપી નિકાલ થશે અને લોકોને ઝડપી ન્યાય મળી રહેશે.
ડિસ્ટ્રીક્ટ જજ એન.બી.પીઠવાએ જણાવ્યું હતું કે, આ નવનિર્મિત ન્યાયમંદિરમાં સી.સી.ટી.વી., ઈ.સેવા કેન્દ્ર, કોન્ફરન્સ રૂમ, બાર રૂમ, લાયબ્રેરી, બેન્ક, પોસ્ટ ઓફિસ, સ્ત્રી-પુરૂષ માટે પ્રસાધન રૂમ, વિકલાંગ પક્ષકારો માટે અલાયદો પ્રસાધન રૂમ બનાવવામાં આવેલ છે.