દેશમણિપુર

સાંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા પીએમ મોદી

પણ 'ઇન્ડિયા'એ પૂછેલા સવાલનું શું થયું?

મણિપુર મુદ્દે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના અવિશ્વાસ પ્રસ્તાવ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગૃહમાં પોતાની વાત કહી અને એ દરમિયાન વિપક્ષ પર નિશાન સાધ્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન ‘વિપક્ષની નબળાઈ’નો ઉલ્લેખ કર્યો અને એવું પણ કહ્યું કે પહેલાં જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ આવતા ત્યારે કોઈને કોઈ મોટા નેતા તેનું નેતૃત્વ કરતા જે આ વખત જોવા નહોતું મળ્યું.

અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ગૃહમાં સોનિયા ગાંધી પણ હાજર હતાં પરંતુ તેઓ ન બોલ્યાં. કદાચ વડા પ્રધાન મોદીનો ઇશારો તેમની તરફ હતો.

જોકે રાહુલ ગાંધી અને ગૌરવ ગોગોઈએ વિપક્ષ તરફથી અન્ય નેતાઓ સાથે પોતાની વાત કહી.

વડા પ્રધાન મોદીએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ભગવાનનો આશીર્વાદ ગણાવ્યો અને કહ્યું કે તેઓ ઘણા દયાળુ છે જેમણે વિપક્ષને આ વાત સુઝાડી અને તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા.

તેમણે કહ્યું, “2018માં પણ એ ઈશ્વરનો જ આદેશ હતો જ્યારે વિપક્ષના સાથી અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા હતા. ત્યારે પણ મેં કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી અને થયું પણ એવું જ. જ્યારે મતદાન થયું ત્યારે વિપક્ષ પાસે જેટલા મત હતા એ પણ તે જમા નહોતો કરી શક્યો. જ્યારે તેઓ જનતા પાસે ગયા ત્યારે તેમણે પણ પૂરી તાકત સાથે નૉ કૉન્ફિડન્સ જાહેર કરી દીધો અને ચૂંટણીમાં એનડીએ અને ભાજપ બંનેને ભરપૂર બેઠકો મળી. એક રીતે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે.”

આ દરમિયાન તેમણે ગૃહ ન ચાલવા દેવા મામલે પણ વિપક્ષને ઘેર્યો અને કહ્યું, “કેટલાંય એવાં બિલ હતાં જે ગામ, ગરીબ, આદિવાસીઓ, યુવાઓ, માછીમારો સંબંધિત હતાં પરંતુ તેમાં વિપક્ષને કોઈ રુચિ નહોતી.”

વડા પ્રધાને વિપક્ષને પૂછ્યું, “શું તમે એક દિવસ પણ ગૃહનું કામકાજ ચાલવા દીધું? તમે અહીં ભેગા થયા પણ શા માટે… અવિશ્વાસ પ્રસ્તાવ માટે. અને પોતાના કટ્ટર ભ્રષ્ટ સાથીની શરતો પર મજબૂર થઈને અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ તમે કેવી ચર્ચા કરી. સોશિયલ મીડિયા પર જોઉં છું કે તમારા દરબારીઓ પણ ઘણા દુ:ખી છે. આ ચર્ચા પર ફિલ્ડિંગ વિપક્ષે ગોઠવી હતી પરંતુ ચોગ્ગા, છગ્ગા તો અહીંથી નૉ કૉન્ફિડન્સ પર લાગી રહ્યા હતા.”

તેમણે વિપક્ષને પૂછ્યું કે, “તમે તૈયારી કરીને કેમ નથી આવતા. મેં 2018માં કહ્યું હતું કે 2023માં તૈયારી કરીને આવજો પણ તમે આજે પણ તૈયારી કર્યા વગર જ આવ્યા.”

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ માત્ર પૂર્વોત્તરમાં પોતાની સરકારની યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા સહિતના મુદ્દા પર પણ બોલ્યા અને અંતમાં જ્યારે વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કર્યું તે બાદ તેઓ મણિપુર પર પણ બોલ્યા.

રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે?

શું વડા પ્રધાને એ સવાલોનો જવાબ આપ્યો જે વિપક્ષે ઉઠાવ્યા હતા?

ગૌરવ ગોગોઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના પહેલા દિવસે જ ત્રણ સીધા સવાલ પૂછ્યા હતા.

  • મણિપુરમાં હિંસા ભડક્યાના ત્રણ મહિના બાદ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરમાં કેમ ન ગયા, ત્યાં રાહુલ ગાંધી ગયા, વિપક્ષ ગયો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગયા પરંતુ વડા પ્રધાન કેમ ન ગયા?
  • મણિપુર પર બોલવામાં વડા પ્રધાનને 80 દિવસ કેમ લાગ્યા?
  • વડા પ્રધાને મણિપુરના મુખ્ય મંત્રીને બરખાસ્ત કેમ ન કર્યા?

વરિષ્ઠ પત્રકાર અશોક વાનખેડે કહે છે, “વિપક્ષને એ ખબર હતી કે અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ જવાનો છે. આથી આ સરકાર ઊથલાવાનો આ પ્રસ્તાવ નહોતો પરંતુ મણિપુર પર સરકારની જવાબદારી નક્કી કરવા માટે એ લવાયો હતો. 3 મેથી સતત અત્યાર સુધી જો મણિપુર ભડકે બળી રહ્યું હોય અને બીજી બાજુ સરકાર કોઈ ગંભીરતા વગર કહે છે કે તમે પરાણે સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તથા લોકોનો વિશ્વાસ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો.” સાથે સાથે તેઓ કહે છે, “કલમ 356 મુખ્ય મંત્રીની વાત જ નથી કરતી. તેઓ કહે છે કે જો રાજ્યપાલનો રિપોર્ટ અથવા અન્ય સ્રોતથી રાષ્ટ્રપતિને એ માલૂમ પડે છે કે અમુક રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી ગઈ છે કે રાજ્ય મશિનરી નિષ્ફળ થઈ ગઈ છે, બંધારણીય નિષ્ફળતા થઈ છે, તો એવામાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે.”

“સર્વોચ્ચ અદાલત કહે છે કે મણિપુરમાં બંધારણીય નિષ્ફળતા થઈ છે. કૅબિનેટ મંત્રી મણિપુરથી પરત આવીને કહે છે કે ત્યાં કાનૂન-વ્યવસ્થા નથી. ત્યાંના ધારાસભ્ય કુકી હોય કે મૈતેઈ…પણ તેઓ સતત સરકાર પાસે આવે છે. ત્યાંનાં રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે સરકારને રિપોર્ટ આપે છે. રાજ્યમાં ઇન્ટરનેટ બંધ છે. તો કેમ મણિપુર ભડકે બળી રહ્યું છે અને સરકાર મૌન છે.”

પૂર્વોત્તર અંગે વડા પ્રધાન શું બોલ્યા?

નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં પૂર્વોત્તર અંગે ઘણું બોલ્યા. તેમણે ત્યાંની નિષ્ફળતાઓ માટે કૉંગ્રેસને ઘેરવાની સાથે જ પોતાની સરકારની સિદ્ધિઓ પણ ગણાવાવનું પણ બાકી ન રાખ્યું.

વડા પ્રધાન મોદીએ કહ્યું, “એક સમય હતો જ્યારે આઈએએસ, આઈપીએસ અધિકારીઓના પગારનો એક હિસ્સો ઉગ્રવાદીઓને આપવો પડતો હતો ત્યારે તેઓ ત્યાં રહી શકતા હતા. ત્યારે ત્યાં કૉંગ્રેસની સરકાર હતી. મણિપુરમાં થોડે થોડે દિવસે બંધ અને બ્લોકેડ પાળવામાં આવતા હતા, પરંતુ હવે આ વાતો ભૂતકાળ થઈ ચૂકી છે. ત્યાં શાંતિના પ્રયાસ ચાલી રહ્યા છે અને આગળ પણ ચાલતા જ રહેશે. તેને રાજકારણથી જેટલું દૂર રાખીએ એટલું જ સાર્થક રહેશે.”

તેમણે પૂર્વોત્તરના વિકાસની વાત કરી અને કહ્યું, “જે પ્રકારે દક્ષિણપૂર્વના દેશોનો વિકાસ થઈ રહ્યો છે, એ દિવસ દૂર નથી જ્યારે પૂર્વોત્તર સેન્ટર પૉઇન્ટ બનશે. વિશ્વ સંરચના બદલાઈ રહી છે. આથી અમારી સરકારે પૂર્વોત્તરને પ્રાથમિકતા આપી છે. આજે આધુનિક હાઈવે, રેલવે, ઍરપૉર્ટ પૂર્વોત્તરની ઓળખ બની રહ્યાં છે.”

પીએમ મોદીએ કહ્યું – નાગાલૅન્ડનાં પ્રથમ મહિલા સાંસદ બન્યાં, પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોની સંખ્યા વધી.

આ વિશે વરિષ્ઠ પત્રકાર અશોક વાનખેડે કહે છે, “વડા પ્રધાને અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન એ જણાવ્યું કે તેમની સરકારે પૂર્વોત્તર પર કેટલો ખર્ચો કર્યો, તેમના મંત્રી ત્યાં કેટલી વાર ગયા હતા. તેમણે કહ્યું પૂર્વોત્તર મારા માટે સૂત્રોચ્ચાર નથી. સંકલ્પ છે. જો તમે કહો કે આસિયાન દેશ એક રાઇઝિંગ સ્ટાર છે અને પૂર્વોત્તર એક સેન્ટ્રલ ફોકલ પૉઇન્ટ હશે. જો તમને આ બધું ખબર છે કે પૂર્વોત્તરનું એક રાજ્ય ત્રણ મહિનાથી સળગી રહ્યું છે, તો તમે એને કેમ સળગવા દઈ રહ્યા છો.”

“વિપક્ષની સંસદમાં સંખ્યા ઓછી છે જેની મજાક ઉડાડાય છે. વિપક્ષ પોતાનું કામ કરશે. વિપક્ષ આ પ્રસ્તાવ પહેલાં તો એવું કહી રહ્યો હતો કે વડા પ્રધાન ગૃહમાં મણિપુર પર ભાષણ આપે. સવાલ વિપક્ષનો જવાબ માગવાનો અને તમારા જવાબનો નથી. સવાલ એક રાજ્ય ત્રણ મહિનાથી સળગી રહ્યું છે એનો હતો. 150થી વધુ લોકોનાં મોત થયાં હતાં. કરોડો રૂપિયાની મિલકતો સળગી ગઈ હતી, પોલીસ સ્ટેશનમાંથી હથિયારોની પણ લૂંટ થઈ હતી. ત્યાં ગૃહયુદ્ધ છેડાઈ ગયું હતું. સર્વોચ્ચ ન્યાયાલયે પણ એની નોંધ લીધી છે. તમે કેમ નોંધ નથી લઈ રહ્યા, એ સવાલ છે.”

“વડા પ્રધાન જણાવી રહ્યા છે કે કૉંગ્રેસના સમયે શું થયું. કૉંગ્રેસે બની શકે કે ઘણું ખોટું કર્યું એટલે તો તમને સત્તા મળી. પરંતુ તમે સત્તામાં બેઠા બાદ પણ મણિપુર ભડકે બળી રહ્યું છે તો પછી જવાબદારી તમારી છે એટલે તમે જવાબ આપો. તેઓ કહે છે કે મણિપુરમાં પાંચ વર્ષથી તમારી સરકાર હતી. ડબલ એન્જિનની સરકાર છે. તમે જેને ગત સરકારનો કહેવાતું કુકર્મ ગણાવી રહ્યા છો અને તમે તેને ઠીક ન કરી શક્યા તો એ તમારી નિષ્ફળતા છે.”

‘વિપક્ષની વૉકઆઉટની વ્યૂહરચના અયોગ્ય’

પૂર્વોત્તરની જેટલી સમસ્યાઓ છે, જેટલા પણ પડકારો છે તેના માટે વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસને દોષિત અને જવાબદાર ગણાવી. પરંતુ ચૂંટણીની દૃષ્ટિએ ભાજપ માટે મહત્ત્વનો મહિલાઓના મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરવામાં સફળ રહ્યો?

આના પર નીરજા ચૌધરી કહે છે, “ભાજપના રાજકારણ માટે મહિલાઓ વધુ મહત્ત્વ ધરાવે છે પરંતુ વિપક્ષ આ વિશે તેમને ઘેરવામાં ચૂકી ગયો.”

શું વિપક્ષે વૉકઆઉટ કરવું જોઈતું હતું?

નીરજા ચૌધરી કહે છે, “અવિશ્વાસ પ્રસ્તાવની શરૂઆત ગૌરવ ગોગોઈએ કરી હતી પરંતુ વૉકઆઉટ કરવાના કારણે પોતાના ‘રાઇટ ટુ રિપ્લાય’ના અધિકારનો ઉપયોગ ન કર્યો. જો આનો ઉપયોગ કર્યો હોત તો તેઓ વડા પ્રધાન મોદીએ મિઝોરમ સંધિ મામલે કરેલા તમામ આરોપોનું ખંડન કરી શક્યા હોત. રાઈટ ટુ રિપ્લાયથી કૉંગ્રેસ દરેક પૉઇન્ટનો જવાબ આપી શકી હોત. આગળ શું થઈ શકે એના પર ચર્ચા થઈ શકી હોત. શું ત્યાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જઈ શકે. શું ભાજપ તેનો ભાગ બનશે. શું મહિલાઓનું પ્રતિનિધિમંડળ ત્યાં જઈ શકે છે. તેમણે આ તક ગુમાવી દીધી.”

નીરજા ચૌધરી વડા પ્રધાનની એ વાત સાથે સંમત હતાં કે વિપક્ષે હજુ વધુ તૈયારી સાથે ગૃહમાં આવવું જોઈતું હતું.

તેઓ કહે છે, “વિપક્ષે આની વધુ સારી તૈયારી કરવાની જરૂર હતી. મોદીએ કહ્યું કે વિપક્ષે એટલી સારી તૈયારી નહોતી કરી અને મનેય એ વાતમાં માલ લાગ્યો. રાહુલ ગાંધીની વાતોમાં નક્કર બાબતો નહોતી. તર્ક, પુરાવા, મણિપુર, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશ માટે ઉત્તરપૂર્વનું શું મહત્ત્વ છે એ બધી બાબતો એટલી સારી રીતે વ્યક્ત ન થઈ શકી.”

તેઓ કહે છે કે કુલ્લે વિપક્ષે વૉકઆઉટ કરવું એ ખરાબ વ્યૂહરચના હતી.

‘વિપક્ષની સંવેદના સિલેક્ટિવ છે’

વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસની પીડાને સિલેક્ટિવ ગણાવી અને કહ્યું કે કૉંગ્રેસ દેશની પરેશાનીઓ વિશે નથી વિચારતી.

વિપક્ષની સંવેદના સિલેક્ટિવ છે – આ નિવેદન પર પત્રકાર અશોક વાનખેડે કહે છે, “મહિલાઓ પર અત્યાચાર અન્ય રાજ્યોમાં પણ છે પરંતુ મણિપુરમાં જે થયું એ અન્ય રાજ્યોની શ્રેણીમાં ન લઈ શકાય. જ્યાં પોલીસે સ્વંય મહિલાઓને ઉઠાવી લીધી અને તોફાનીઓને હવાલે કરી દીધી. ખુદ મુખ્ય મંત્રી કહે છે કે એવા ઘણા મામલા થયા છે.”

“આટલા મોટા પાયે થતો વ્યભિચાર કયા રાજ્યમાં થયો? લોહિયાની વાત કરે છે, આઝાદી પહેલાંની વાત કરે છે. તેઓ કહે છે કે કૉંગ્રેસના ડીએનએમાં સાવકો વ્યવહાર કરવાની બાબત વણાયેલી છે. તેઓ પૂર્વોત્તરને જિગરનો ટુકડો કહે છે પરંતુ તેના ભડકે બળવાની કદર ત્યારે થઈ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયે નોંધ લીધી.”

“તેઓ કહે છે કે મણિપુરની સમસ્યાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. સર્વોચ્ચ ન્યાયાલય, તમારા મંત્રી, ધારાસભ્ય પણ આવું જ કહી રહ્યાં છે. ત્યાં લાશો હજુ પણ શબઘરોમાં પડેલી છે. પોલીસ, સેના બધા જ અસહાય દેખાઈ રહ્યા છે.”

“વડા પ્રધાને કહ્યું કે પહેલાં ત્યાં ઉગ્રવાદ હતો અને ત્યારે કૉંગ્રેસ સત્તામાં હતી. પરંતુ કૉંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ચૂકી છે અને આજે તમારી સરકાર છે. તો પછી કૉંગ્રેસ અને તમારામાં ફરક શું છે?”

“સરવાળે બધી વાત દુનિયાની છે. દેશની જનતા પર વિશ્વાસની વાત છે. તેમણે અખંડ વિશ્વાસી સમાજની વાત કરી પરંતુ જો તેમના પર અખંડ વિશ્વાસ હોત તો કર્ણાટક, હિમાચલ, દિલ્હીમાં હાર્યા ન હોત. બજરંગબલીનું નામ ન લેવું પડ્યું હોત.”

“એક બાજુ કહે છે કે વિપક્ષમાં તાકત નથી, નબળો પક્ષ છે, તૈયારી નથી કરતા, ઇનૉવેટિવ વાત નથી કરતા.”

“વડા પ્રધાનજી તમે દેશનો વિશ્વાસ તોડી રહ્યા છો. લોકો ભયભીત છે. કેમ લોકો ત્યાં પોતાના લોકોના અંતિમસંસ્કાર નથી કરી શકતા?”

“સરવાળે વડા પ્રધાનનું ભાષણ એ જ આશાઓને અનુરૂપ હતું કે મણિપુર પર ઉઠાવવામાં આવેલા સવાલોના તેઓ જવાબ નહીં આપે. તેઓ ઇતિહાસની વાત કરશે અને વર્તમાનની વાત નહીં કરે અને સુવર્ણ ભવિષ્યની લૉલીપૉપ આપશે.”

તેઓ કહે છે, “વડા પ્રધાનના ભાષણ પર એ જ સવાલ ઊઠે છે. વાત અહીંતહીંની થઈ રહી છે, ભૂત-ભવિષ્યની થઈ રહી છે, વર્તમાનમાં જે થઈ રહ્યું છે એની વાત નથી થઈ રહી. મણિપુરમાં મહિલાઓનું જે ઉત્પીડન થયું એની એફઆઇઆર ત્રણ મહિના સુધી ન નોંધાઈ એ ન જણાવ્યું. માર્ગોની વાત કરે છે પરંતુ મણિપુરમાં જીવતી સળગાવાઈ રહેલી મહિલાઓની વાત નથી કરતા, તેને અવગણે છે.”

એ મુદ્દા જેના પર વડા પ્રધાન ન બોલ્યા

વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ કહે છે વડા પ્રધાન મોંઘવારી, બેરોજગારી, નૂહ જેવા મામલા પર કંઈ ન બોલ્યા.

રાશિદ કિદવાઈ કહે છે, “વડા પ્રધાન ભાષણ દરમિયાન પોતાની વાક્પટુતાથી બાજી મારવાની કોશિશ કરે છે. તેમણે એલઆઇસીનું ઉદાહરણ આપ્યું. એલઆઇસીનો આઈપીઓ આવ્યો હતો. તે ગગડી ગયો અને પડતી સાથે થયેલી શરૂઆત આજેય કાયમ છે. પરંતુ તેમણે એલઆઈસીને એવી રીતે રજૂ કરી કે જે લોકોએ શૅરબજારમાં પૈસા રોક્યા છે તેમને ફાયદો થઈ રહ્યો છે.”

“તેઓ ટમેટાંના વધતા ભાવ, મોંઘવારી, બેરોજગારી, રેલવેના જવાનવાળી ઘટના, નૂહની હિંસા જેવા વિષયો પર બોલતા જ નથી. જો હું મણિપુરની વ્યક્તિ હોઉ તો આજે મારા હાથમાં શું આવ્યું. 100 દિવસ થઈ ગયા અને માત્ર આશ્વાસન મળ્યું. આજે પણ ત્યાં એ જ મુખ્ય મંત્રી છે.”

સાથે જ તેમણે એ અંગે પણ આશ્રર્ય વ્યક્ત કર્યું કે મણિપુરના કુકી અને મૈતેઈ સાંસદોને બોલવાની તક ન અપાઈ.

તેઓ કહે છે, “અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુધી ચાલેલી ચર્ચામા ઘણા પક્ષોના સાંસદોએ કરી પરંતુ મણિપુરના બે સાંસદ છે. એક કુકી અને બીજા મૈતેઈ પરંતુ આ દરમિયાન બંને ન બોલ્યા. તેઓ જો બોલ્યા હોત તો એકબીજાનાં સમુદાયો પ્રત્યે તેમના વિચાર સામે આવ્યા હોત. તેમને ત્યાં બોલવાથી વંચિત કેમ રખાયા?”

‘આ અર્ધસત્ય છે’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણ દરમિયાન 5 માર્ચ 1966ના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, “5 માર્ચ 1966 – આ દિવસે કૉંગ્રેસે મિઝોરમમાં અસહાય નાગરિકો પર પોતાની વાયુસેનાના માધ્યમથી હુમલો કરાવ્યો હતો. તેના પર ગંભીર વિવાદ થયો હતો. મિઝોરમના લોકો મારા દેશના નાગરિક નહોતા. તેમની સુરક્ષા દેશની જવાબદારી હતી કે નહીં. નિર્દોષ નાગરિકો પર હુમલો કરાવાયો. આજે પણ 5 માર્ચના રોજ આખું મિઝોરમ શોક મનાવે છે. આ લોકોએ ક્યારેક મલમ લગાવાવની કોશિશ ન કરી.”

તેમણે કહ્યું, “કૉંગ્રેસે આ સત્ય દેશથી છુપાવ્યું. પોતાના જ દેશમાં વાયુસેનાથી હુમલો કરાવ્યો. એ સમયે વડાં પ્રધાન કોણ હતાં – ઇંદિરા ગાંધી”

પીએમ મોદીએ અકાલ તખ્ત પર હુમલાની વાત પણ કહી અને કહ્યું કે એ વાત પણ અમારી સ્મૃતિમાં છે.

5 માર્ચ 1966ની સવારે 11 વાગ્યે ભારતીય સમયે ભારતીય વાયુસેનાના ચાર હંટર વિમાનોએ આઈઝોલ પર બૉમ્બમારો કર્યો હતો પરંતુ તે પહેલાંના ઘટનાક્રમને ઘ્યાને રાખતાં સેના અને વાયુસેનાની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાશિદ કિદવઈ કહે છે કે તેમણે આમાં અર્ધસત્ય રજૂ કર્યું, તે સેના અને વાયુસેનાના સમર્થનથી દેશહિતમાં કામ કરવામાં આવ્યું હતું.

તેઓ કહે છે, “1965ની લડાઈમાં ઇંદિરા ગાંધીએ સેના અને વાયુસેનાના સમર્થનથી એ કામ કર્યું હતું અને તે રાષ્ટ્રહિતમાં કરવામાં આવ્યું હતું. ઇંદિરા ગાંધીએ ઑપરેશન બ્લૂ સ્ટાર કર્યું હતું તો શું શીખ અલગાવવાદીને સુવર્ણ મંદિરથી બહાર કાઢવાનું કામ ખોટું હતું?”

તેઓ કહે છે, “ઇંદિરા ગાંધીની ટીકા જરૂર થવી જોઈએ, કેમ કે પંજાબનો મુદ્દો ઘણો ચર્ચામાં હતો અને તેને લઈને એટલી બધી સમસ્યાઓ થઈ પરંતુ એવું કહેવું કે ઑપરેશન બ્લૂ સ્ટાર અયોગ્ય છે, રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ એવું કોઈ નહીં કહે. તે એ સમયે જરૂરી થઈ ગયું હતું. દરેક બાબતનું એક પરિપ્રેક્ષ્ય હોય છે. એ સમય મિઝોરમમાં અલગવવાદ એવી ચરમસીમાએ હતો કે તેઓ તેને ભારતનું અંગ નહોતા માનતા. ત્યાંના વિસ્તારો એવા હતા કે સેના જઈ નહોતી શકતી તો વાયુસેનાનો ઉપયોગ કરવો પડ્યો હતો.”

વડા પ્રધાને પૂર્વોત્તરના વિકાસની વાત કરી. આ વિશે રાશિદ કિદવાઈ કહે છે કે ત્યાંના વિકાસમાં યુપીએનું પણ યોગદાન છે. મણિપુરની ઘટનાને માનવીય દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. તેમણે ત્યાંના વિકાસની વાત કરી પરંતુ મહિલાઓની સુરક્ષાની વાત ક્યાં છે? મુખ્ય મંત્રીને કેમ ન હઠાવાયા, રાષ્ટ્રપતિ શાસન કેમ ન લગાવાયું?

અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતી વખતે આ સવાલ ગૌરવ ગોગોઈએ ઉઠાવ્યો હતો પરંતુ તેનો જવાબ ન તો ગૃહમંત્રી અમિત શાહ અને ન તો વડા પ્રધાન મોદીએ આપ્યો.

‘ઘમંડિયા ગઠબંધન’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધનને પોતાના ભાષણ દરમિયાન કેટલીય વાર ઘમંડી ગઠબંધન કહીને સંબોધન કર્યું.

આ વિશે અશોક વાનખેડે પૂછે છે કે જો વિપક્ષ એક થઈ ગયો તો એમાં ઘમંડ કઈ વાતનો?

તેઓ કહે છે, “ઘમંડ તો તેમનામાં છે જે સર્વોચ્ચ ન્યાયાલના જજોની ખંડપીઠના નિર્ણયને બિલ લાવીને બદલવાની તાકત રાખે છે. તમારી પાસે સમર્થન છે એટલે તમે બિલ લાવીને સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય પલટી નાખશો. આ ઘમંડ છે. ત્રણ મહિના સુધી મણિપુર સળગી રહ્યું હતું પરંતુ હું વાત નહીં કરું, એ ઘમંડ છે.”

“ઘમંડ કોને છે એ લોકોને દેખાઈ રહ્યું છે. ઇન્ડિયા છે એટલે ઘંમડિયા કહી દીધું, પ્રાસ બેસાડી દીધી. વિપક્ષ તમારા વક્તવ્યની માગ કરી રહ્યું હતું. રાજીનામું માગી રહ્યું હતું. તમે ગૃહમાં બોલવા તૈયાર નથી એ ઘમંડ છે. તમે કોઈ રાજકીય દળને સીબીઆઈ, ઈડી અને ઇન્કમટૅક્સના જોરે તોડવા માગો એ ઘમંડ છે.”

જ્યારે રાશિદ કિદવઈ કહે છે, “આજે વડા પ્રધાને ભાષણમાં નવી વાતો નહોતી, ઘમંડ વિશે તેમણે જે વાતો કરી તે ખુદ વડા પ્રધાન વિશે કહી શકાય છે.”

રાશિદ કિદવઈ કહે છે, “ભાષણ સંપૂર્ણપણે રાજકીય હતું. એવું લાગ્યું કે સંસદમાં નહીં પણ કોઈ ચૂંટણી રેલીમાં બોલી રહ્યા છે. તેમણે વિપક્ષ પર જબરદસ્ત હુમલા કર્યા. તેમનું ધ્યાન વિપક્ષ પર હુમલા કરવા પર હતું. એટલે એ સંદેશ પણ ગયો કે શું વડા પ્રધાન ખુદ ‘ઇન્ડિયા’ ગઠબંધથી ખતરો અનુભવી રહ્યા છે? તેમને બદલાવના અણસાર તો દેખા નથી રહ્યા, જેથી તમણે આનો પૂરી તાકત સાથે વિરોધ કર્યો.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button