રાષ્ટ્રપતિએ ઘરે જઈ લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી કર્યા સન્માનિત, PM મોદી પણ રહ્યા હાજર
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે 'ભારત રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/લાલકૃષ્ણ-અડવાણીને-ભારત-રત્ન-એનાયત-780x470.webp)
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે ‘ભારત રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા. આપને જણાવી દઈએ કે, નાદુરસ્ત તબિયતના કારણે લાલકૃષ્ણ અડવાણી શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા.
શનિવારે યોજાયો હતો સન્માન સમારોહ
રાષ્ટ્રપતિએ શનિવારે (30 માર્ચ) રાષ્ટ્રપતિ ભવન ખાતે 4 મહાનુભાવોને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન સામેલ છે. ચારેય મહાનુભાવોના પરિવારજનોએ રાષ્ટ્રપતિ ભવનમાં આ સન્માન મેળવ્યું હતું. નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવને રાષ્ટ્રપતિ તરફથી આ સન્માન મળ્યું.
આ દરમિયાન ભારત રત્ન કર્પુરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે કેન્દ્ર સરકારે મારા પિતાના કાર્યને સ્વીકાર્યું અને તેમને આ સન્માન આપ્યું. સમગ્ર દેશ વતી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.’