કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાનો કાયદાનો વિરોધ
નર્મદા જિલ્લાના આદીવાસીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાનો કાયદો અમલી બનાવવા ઉપર વિરોધ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/07/UCC-નાંદોદ.webp)
કેન્દ્ર સરકાર દ્વારા આ ચોમાસા દરમિયાન સંસદીય સત્રમાં સમગ્ર દેશમાં કોમન સિવિલ કોડ કાયદો અમલી બનાવાય એ માટેના અવાર નવાર સંદેશા મળી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા દેશના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ અને લો કમિશન ઓફ ઇન્ડિયાને સંબોધીને લખાયેલ એક આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યો હતો. સમાન સિવિલ કોડના કાયદાનો વિરોધ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપવા માટે રાજપીપળા પાલીકાના પુર્વ પ્રમુખ અને આમુ સંગઠનના પ્રમુખ મહેશ વસાવા, ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાના નાંદોદ તાલુકા પ્રમુખ વિજય વસાવા, મહામંત્રી મિથુનભાઇ વસાવા, ઉપપ્રમુખ મેહુલભાઈ.એસ.વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્રમાં કેટલીક બાબતો ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસીઓની સામાજીક વ્યવસ્થા તેમના દ્વારા જ શાસિત થાય છે, કાયદાથી ના થઈ શકે, આદિવાસીઓના ૭૦૫ જેટલા સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસૂચિત જનજાતિના રૂપમાં સુચી બંધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમુદાય એ લગ્ન, તલાક, ઉતરાધિકારી, વારસાઈ, દત્તકની બાબતમાં પોતાના રૂઢિગત નિયમોથી અને કાયદાઓથી ચાલતો આવેલો સમાજ છે. આદિવાસી સમાજના જન્મથી મૃત્યુ સુધીના પોતાના રીતી રીવાજ હિન્દુ સમાજ અને ભારત દેશના અન્ય જાતિઓ સમુદાયો કરતા ભિન્ન રીતના જુદા જુદા છે. સાથે સાથે તેઓએ જણાવ્યુ કે, આદિવાસી સમાજ ઉપર હિન્દુ કાયદાઓ પણ લાગુ નથી થતા.
આ કાયદો લાગુ થવાથી દેશમાં આદિવાસીઓના રૂઢિગત કાયદાઓ સમાપ્ત થઈ જશે. આદિવાસીઓને ગ્રામ્ય સ્થળે પેસા કાયદા હેઠળ અનેક અધિકારો મળ્યા છે. જે સમાન સિવિલ કોડ અમલમાં આવતા સમાપ્ત થઈ જશે. આદિવાસીઓના રૂઢિગત રીતે રહેવાના કાયદાઓ કમજોર બનાવી દેવામાં આવશે. સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી આદિવાસીઓને બંધારણમાં જે સંરક્ષણ આપવામાં આવ્યું છે તે સમાપ્ત થઈ જશે.