કાગળો હોવા છતાં નોમિની પાછળથી ઉમેરાયાનું જણાવી મૃતકના રીકરીંગના નાણાં મેળવવા ચાર વર્ષથી ધક્કા ખવડાવતું; બુહારી પોસ્ટ!
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
વાલોડ તાલુકાના બુહારી ગામે પતિના અકસ્માતમાં મૃત્યુ બાદ પોસ્ટ ઓફિસમાં રીકરીંગમા નાણા મેળવવા યોગ્ય કાગળો તૈયાર કરી પોસ્ટને આપ્યા હોવા છતાં નોમીનીમાં નામ પાછળથી ઉમેર્યા હોવાનું જણાવી મરણ જનારના પરિવારજનોને ચાર વર્ષ સુધી નાણા આપવામાં પોસ્ટ વિભાગ પોતાની મનમાની કરી રહ્યો છે.
બુહારી પોસ્ટ ઓફિસમાં જાન્યુઆરી 2017 થી બુહારીના રહીશ ભાવેશભાઈ વલ્લભભાઈ પટેલ 5000 અને 10000 ના બે ખાતા રીકરીંગના ખોલાવ્યા હતા. ભાવેશભાઈનું કમનસીબે અકસ્માતમાં તા. 20/11/2020 ના રોજ કરુણ મૃત્યુ થયું હતું, જેમના મૃત્યુ બાદ રીકરીંગ અંગેના નાણા માટે પૂછપરછ કરતા કામગીરી કરતા છ માસનો સમય નીકળશે અને છ માસનો ક્લેમ થશે એમ પોસ્ટના અધિકારીઓ જણાવ્યું હતું.
છ માસ બાદ બંને રીકરીંગ ખાતાના કાગળ સહિત જરૂરી નિવેદનો કાર્યવાહી કરી સ્થાનિક બુહારી પોસ્ટ ઓફિસમાં આપવામાં આવેલા હતા. તે પૈકી 5,000ની રીકરીંગની રકમમાં ભાવેશ પટેલના પત્ની પારુલ પટેલ નોમિની તરીકે હોવાથી એક રીકરીંગ ખાતાના નાણા પોસ્ટ ચૂકવી દીધેલા હતા, જ્યારે 10,000 ના રીકરીંગના ખાતાના નાણા પોસ્ટે ચૂકવ્યા ના હતા. આ અંગે પૂછપરછ કરતા બારડોલી પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી એસપીના જણાવ્યા મુજબ નોમિનેશન બદલાયું છે અને ભાવેશ પટેલના મૃત્યુ બાદ પત્ની નોમીની થયેલ છે એટલે ઇન્કવાયરીમાં સોંપેલ છે. આ કિસ્સામાં પોસ્ટ તરફથી નોમિની નિયમમાં ફેરબદલ થયું હોવાનું ભાવેશ પટેલના પરિવારજનો જણાવી રહ્યા છે. હાલ પોસ્ટ વિભાગના અક્કડ વલણને લીધે ખાતેદારના નાણાં તેના મૃત્યુ બાદ પણ તેના પરિવારજનોને ન મળતા પોસ્ટ વિભાગની કાર્યવાહી સામે રોષ ફેલાયો છે.