![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
- સંકલનની બેઠકમાં પલસાણા તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રશ્નો પુછાયા
- સાંસદ પ્રભુ વસાવાએ સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ, રિફ્લેક્ટર વગેરે મુદ્દે રજૂઆત કરી હતી
સુરત જિલ્લા કલેકટરમાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય ઈશ્વર પરમારે કેટલાક સવાલો પુછીને પલસાણા ટીડીઓ અને તલાટીની કામગીરી સામે શંકા વ્યક્ત કરીને સ્પષ્ટતા માંગી હતી.
શનિવારે સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલનની બેઠક જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ધારાસભ્ય ઈશ્વર પરમારે પલસાણા તાલુકા વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરાતી કામગીરી સામે સવાલો કર્યા હતા અને પલસાણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલા જવાબની સ્પષ્ટતા માંગી હતી. તેમણે સવાલો કર્યા હતા કે, ગૌચરની જગ્યામાં રસ્તો બનાવવાની સત્તા કોની પાસે છે?
- શું તલાટી કમ મંત્રી કલેકટરની સત્તા વાપરી શકે?
- ખાનગી માલિકીની જગ્યામાં માત્ર ઠરાવથી રસ્તો મંજૂર કરી શકાય?
- તેમણે પલસાણા તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે શંકા વ્યક્ત કરતા સ્પષ્ટતા માંગવામાં આવી હતી કે, જો ખોટો ઠરાવ કરવામાં આવ્યો હોય તો રદ કરવામાં આવ્યો છે કે કેમ?
પલસાણા વિસ્તારમાં આવેલી એક ટ્રસ્ટની માલિકીની જમીનમાંથી રસ્તો આપવા બાબતનો આ વિવાદ થયો હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત બેઠકમાં સાંસદ પ્રભુ વસાવાએ માર્ગ અકસ્માત અટકાવવા માટે રસ્તા પર સ્પીડ બ્રેકર, વ્હાઇટ પટ્ટા, ઝેબ્રા ક્રોસીંગ, રીફલેક્ટર વગેરે લગાવવા માટે, કીમ માંડવી રોડ બનાવવાની કામગીરી ઝડપી બનાવવા તથા જર્જરિત થઇ ગયેલા ગડરીયા પુલને રિપેર કરવા માટેની રજુઆત કરી હતી.
ધારાસભ્ય સંગીતા પાટિલે લિંબાયતમાં રસ્તા વચ્ચે આવેલા હાઇટેન્શ ટાવરને હટાવવાની રજુઆત કરી હતી.
જ્યારે મનુ પટેલે પાંડેસરા ભેડવાડ ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની, તથા ખાડી પરના દબાણ દુર કરવા રજૂઆત કરી હતી.