![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/content_image_77835d71-71b7-421a-b753-d47172a07e9e-1-780x470.jpeg)
- 31 જાન્યુઆરી-2024 સુધીમાં 2000ની 97.50 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી
- 2000ની કુલ નોટોમાંથી 2.50 ટકા નોટો એટલે કે 8897 કરોડ રૂપિયા હજુ પણ માર્કેટમાં
દેશમાં વર્ષ 2023માં 19મી મેએ નોટબંધી એટલે કે રૂપિયા 2000ની નોટો ચલણમાંથી બહાર કરાયાને 8 મહિના વિતી ગયા છે, તેમ છતાં હજુ પણ 8897 કરોડ રૂપિયાની નોટો માર્કેટમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકારના અથાગ પ્રયાસ અને જાગૃતિ છતાં પણ હુજ સુધી 2.50 ટકા બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી નથી. આરબીઆઈએ જાન્યુઆરી-2024ના અંત સુધીમાં 2000ની કેટલી નોટો પરત ફરી છે, તે અંગેનો ડેટા બહાર પાડ્યો છે.
2000ની 97.50 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી
આરબીઆઈના જણાવ્યા મુજબ 31 જાન્યુઆરી-2024 સુધીમાં ચલણમાંથી બહાર કરાયેલી 2000ની 97.50 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે, જ્યારે 2.50 ટકા નોટો એટલે કે 8897 કરોડ રૂપિયા હજુ પણ સિસ્ટમમાં પરત આવ્યા નથી. ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેંકે ગત વર્ષે 2000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. તે દરમિયાન 19 મે-2023 સુધીમાં 2000ની નોટોના કુલ 3.56 લાખ કરોડ રૂપિયા ચલણમાં હતાં.
મે મહિનામાં સરકારે નિર્ણય લીધો હતો
ભારતીય રિઝર્વ બેન્કે 19 મે-2023માં સૌથી મોટી કરન્સી 2000 રૂપિયાની નોટ પર નિર્ણય લીધો હતો. આને 2000 રૂપિયાની નોટ પરત કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર-2023 સુધી નક્કી કરાઈ હતી, જોકે ત્યારબાદ ફરી ડેડલાઈનમાં રાહત આપતા 8 ઓક્ટોબરથી નોટો લેવાનું શરૂ કર્યું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
2018-19થી 2000ની નોટો છાપવાની બંધ
RBIએ રૂ.2000ની નોટો વર્ષ 2018-19થી છાપવાની બંધ કરી દીધી છે. જ્યારે 2021-22માં રૂ.2000ની 38 કરોડ મૂલ્યની નોટો નષ્ટ કરવામાં આવી હતી. 2016માં નોટબંધી બાદ રૂ.2000ની નોટો માર્કેટમાં આવી હતી. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી અને તેના સ્થાને નવા પેટર્નની 500 અને 2000 રૂપિયાની નોટ જારી કરી હતી.
2016માં રિઝર્વ બેન્કે આ નોટ બહાર પાડી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવું પડ્યું હતું.