![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/umarpada.webp)
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સહિતના કનડતા પ્રશ્નોના નિરાકરણ માટે નાયબ કલેકટર સમક્ષ પ્રબળ રજૂઆત કરી હતી.
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશભાઇ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ સેમ્યુઅલ વસાવા અને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ભૂપેન્દ્ર વસાવા સહિતના આગેવાનોએ નવનિયુક્ત નાયબ કલેક્ટર કૌશિકભાઈ જાદવને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ રજૂઆત કરતા આગેવાનોએ જણાવ્યું કે સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાજનોની અનેક પ્રકારના પ્રશ્નો સતાવી રહ્યા છે.
તાલુકાના અનેક ગામોમાં સરકારની પાણી પુરવઠા યોજનાનું પાણી લોકોને મળતું નથી. ભ્રષ્ટાચારને કારણે યોજનાઓ સદંતર નિષ્ફળ ગઈ છે, આરોગ્ય શિક્ષણ રસ્તાના પ્રશ્નોથી મુશ્કેલીઓ વધી રહી છે. લોક હિતમાં આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત આગેવાનોએ કરી હતી નાયબ કલેક્ટર કૌશિકભાઇ જાદવે સકારાત્મક અભિગમ દાખવી સત્વરે પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં તેઓ કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.