સોનગઢ ઉકાઈ રોડ નજીક દબાણો દૂર કરવા માર્ગ-મકાન વિભાગ દ્વારા બીજી નોટિસ અપાતા ફફડાટ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/ઉકાઈ.jpg)
સોનગઢથી ઉકાઈ થઈ સેરુલા સુધી જતાં સ્ટેટ હાઇવે પર બંને તરફ રોડની માર્જિનલ ખુલ્લી જગ્યામાં બિન અધિકૃત રીતે મોટે પાયે દબાણો ઉભા થઇ ગયાં છે. આ દબાણો દૂર કરવા માટે દબાણ ધારકોને અગાઉ નોટિસ આપ્યાં બાદ હવે બીજી નોટિસ આપવામાં આવી છે.
સોનગઢના જુના ચેકપોસ્ટ પાસેથી ઉકાઈ થઈ સેરુલા સુધીનો રોડ સ્ટેટ હાઇવે ગણાય છે. આ સ્ટેટ હાઇવે નજીક ખાસ કરીને સોનગઢ નગરના વાંકવેલમાં અને ઊર્જા નગર કોલોની ગેટની આસપાસ મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો ઉભા થઇ ગયાં છે. કેટલાંક લોકો એ તો આવી સરકારી જગ્યામાં કાચી પાકી દુકાનો સહિત ખુલ્લી જગ્યામાં મકાનો તાણી દીધાં છે. અને એ પૈકીના કેટલાક ભાડા પર આપી દેવામાં આવ્યાં છે. હવે જ્યારે આ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક ઘણો વધી ગયો છે ત્યારે આ હાઇવે પહોળો કરવો પણ જરૂરી બન્યો છે.
આ સંદર્ભે ગત સપ્ટેમ્બર માસમાં સ્ટેટ હાઇવેની બંને તરફ મધ્ય રેખાથી 21 મીટરની સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે જે તે દબાણધારકો ને નોટિસ આપવામાં આવી હતી અને દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો. જો કે એ વખતે ચોમાસું ચાલતું હોય લોકોની રજુઆત અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ એ કરેલી ભલામણના આધારે તે સમયે કામગીરી અટકી ગઈ હતી. જો કે હવે ફરી માર્ગ મકાન વિભાગ ગેરકાયદે દબાણ દૂર કરાવવા માટે મેદાનમાં આવ્યું છે. વિભાગના નાયબ કાર્યપાલ ઈજનેર દ્વારા તા. 23/1/24ના રોજ ફરી બિન અધિકૃત દબાણ કરનાર લોકોને નોટિસ આપવામાં આવી છે. તેમાં જણાવ્યાં મુજબ જે તે સમયે ચોમાસાના કારણે કામ અટકાવવામાં આવ્યું હતું. જેથી સ્ટેટ હાઇવેની બંને તરફ રસ્તાની મધ્ય રેખાથી કુલ 21 મીટર અને15 મીટર રસ્તાની બંને તરફ આર.ઓ.ડબ્લ્યુ માર્જિનની જગ્યા હોય તેમાં થયેલું બિન અધિકૃત દબાણ જે તે દબાણ ધારકો ને ટૂંક સમયમાં સ્વૈચ્છિક રીતે ખસેડી લેવા માટે સૂચના આપવામાં આવી છે. અન્યથા આવા ગેરકાયદે દબાણો દબાણ ધારકોના ખર્ચે અને જોખમે દૂર કરવામાં આવશે જેની જવાબદારી જે તે દબાણધારકોની રહેશે એવું નોટિસ માં જણાવવામાં આવ્યું છે.