કુંવરજીભાઈ હળપતિ એ આપ્યો અરજી અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર (whatsapp)- 8171837183
સુરત, ડાંગ, ભરૂચ અને તાપી જિલ્લાના નાગરિકોને લાભ લેવા અપીલ કરાઈ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/કુંવરજીભાઈ.webp)
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ- ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનથી સુરત, ડાંગ, ભરૂચ અને તાપી જિલ્લા માટે પ્રજાની અરજી અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર (whatsapp) 8171837183 શરૂ કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો.
મંત્રી કુંવરજીભાઈ હળપતિના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ ઉપર આજ દિન સુધી 3000થી વધુ અરજીઓ મળી છે અને 2300થી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ પણ થઇ ગયો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવનાર દિવસોમાં આ પોર્ટલને વધુ સરળ બનાવી ગામે ગામ સુધી પહોંચાડી શકાય તેવા અમારા પ્રયાસો રહેશે. વધુમાં ભવિષ્યમાં સુરત, ડાંગ, ભરૂચ અને તાપી સિવાય પણ સમગ્ર રાજ્યમા લોકો સુધી આ પોર્ટલના માધ્યમ થકી પહોંચવાની દિશામાં અમે કાર્ય કરી રહ્યા છે.
અરજી અને ફરિયાદ માટે નીચેના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં,
1. આદિજાતિ વિકાસ વિભાગ,
2. વન અને પર્યાવરણ વિભાગ,
3. ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ
4. ખેતી વિભાગ
5. સિંચાઈ વિભાગ
6. શ્રમ અને રોજગાર વિભાગ
7. શિક્ષણ વિભાગ
8. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ
9. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
10. મકાન અને માર્ગ વિભાગ
11. એસ.ટી. વિભાગ
12. પોલીસ વિભાગ
13. પશુપાલન વિભાગ
14. અન્ય વિભાગની ફરિયાદ કરી શકાશે.
અરજી કરવાની પદ્ધતિ
- સૌ પ્રથમ હેલ્પલાઈન નંબર પર whatApp દ્વારા “HI” મેસેજ કરો.
- ત્યાર બાદ જે તે વિભાગમાં અરજી કરવા માંગતા હોય તે વિભાગ સામે આપેલો નંબર દાખલ કરો.
- તમારું નામ, સરનામું, ક્યા જિલ્લા માટે અરજી કરવા માંગો છો, અરજીનો વિષય અને અરજીની વિગત દાખલ કરો.
- આપને અરજીની નકલ અને અરજી નંબર મળશે.
- ત્યાર બાદ તમારી અરજી જે તે વિભાગમાં પહોંચી જશે.
- અરજી નંબરની મદદથી આપ અરજીનું સ્ટેટસ જોઈ શકો છે.
મંત્રી કુંવરજીભાઈ હળપતિએ અંતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સક્રિય રીતે કામગીરી કરી પ્રજાકલ્યાણની તેવડ હાંસલ કરી છે. જેના થકી ગુજરાતમાં છેવાડાના માનવી સુધી પહોંચી તેઓના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી શકે તે માટે આ પોર્ટલની શરૂઆત કરી છે. જેનો લાભ તમામ નાગરિકો લે તે માટે મંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે.