ઉચ્છલ કોલેજના સાંકડા રસ્તાની આસપાસ ફૂટપાથ બનાવી આપવા વિદ્યાર્થીઓની માંગ
કોલેજથી મુખ્ય રસ્તાને જોડતા અંદાજિત 2 કિમીના રસ્તે થઈ હજારો વિદ્યાર્થી પસાર થાય છે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/ઉચ્છલ-કોલેજ.webp)
ઉચ્છલ ખાતેની સરકારીમાં દેવમોગરા કોલેજના બિલ્ડીંગથી નિઝર ઉચ્છલ મુખ્ય રસ્તા સુધીના સાંકડા રસ્તાની આસપાસ ફૂટપાથ બનાવી આપવાની માગ સાથે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUIના સભ્યો દ્વારા મામલતદાર ઉચ્છલને રજૂઆત કરવામાં આવી હતી. ઉચ્છલ ખાતેની આ સરકારી કોલેજમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અને સ્થાનિક મળી કુલ અંદાજિત એકાદ હજાર વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરે છે. હાલમાં કોલેજનું આ બિલ્ડીંગ મુખ્ય રોડ નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવેથી ભીતખુર્દ ગામ તરફ જતાં ગ્રામ્ય રસ્તા પર આવેલ છે.
કોલેજનું આ સ્થળ મુખ્ય રસ્તાથી અંદાજિત 2 કિમિ જેટલું અંદર છે અને વિદ્યાર્થીઓ આ અંતર સાંકડા રસ્તા પર થઇ પગપાળા પસાર કરતાં હોય છે. એ સાથે જ આ રસ્તા પર થઇ ગ્રામજનોની અવરજવર રહે છે અને રસ્તા પર થઇ નાના મોટા વાહનો પણ અહીં થઈ દોડતાં હોય છે. હાલમાં આ રસ્તો સાંકડો હોય ખાસ કરીને કોલેજના સમયે ખાસ કરીને શરૂ થવાના અને છૂટવાના સમયે રોડ પર પગપાળા પસાર થતાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સંજોગોમાં જ્યારે રસ્તા પર થઇ અન્ય વાહનો પસાર થતાં હોય છે ત્યારે અકસ્માત સર્જાવાનો ઘણો ભય રહેલો છે.
આ બાબતે NSUI વતી અંકુર વસાવા, જગદીશ ગામીત, વિશાલ ગામીત સહિત અન્ય વિદ્યાર્થીઓ એ ઉચ્છલ મામલતદાર ને એક લેખિત રજુઆત કરી હાઇવેથી કોલેજ સુધીના આંતરિક રસ્તા પર તાકીદે ફૂટપાથ બનાવી આપવાની માગ કરી હતી. રસ્તાની સાઈડ પર યોગ્ય ફૂટપાથ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓ સરળતાથી અવરજવર કરી શકે છે. આ બાબતે આગામી સમયમાં યોગ્ય કક્ષા એ થી ઝડપથી નિર્ણય ન લેવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી. ઉચ્છલ કોલેજ ના વિદ્યાર્થીઓએ મામલતદારને રજૂઆત કરી હતી.