સસ્પેન્ડ તલાટીથી બાઇકના હપ્તા ન ભરાતા લૂંટની ફરિયાદનો સ્ટંટ કર્યો
ખોડંબા લૂંટની ઉલટ તપાસમાં તલાટીએ ખોટી પોલીસ ફરિયાદ કરી હોવાનું કબૂલ કર્યુ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
ગત 19મી સપ્ટેમ્બરના રોજ ખોડંબા પાસે મોટરસાઈકલ સવાર સસ્પેન્ડ તલાટીને ત્રણ લૂંટારુઓએ મરચાની ભૂંકી નાંખી લૂંટી લીધો હોવાની ઘટનાની તપાસમાં જ ફરીયાદીએ લૂંટની ખોટી ફરિયાદ આપી હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રાજપરા ગામે રહેતા રાજેશભાઈ શુક્કરભાઈ ગામીત (45)નાઓ તલાટી તરીકે ફરજ બજાવતાં હતાં.
જોકે, હાલ તેઓ સસ્પેન્ડ છે. તેમણે ગત 20મી સપ્ટેમ્બરનારોજ માંડવીપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમની મોટરસાઈકલ લઈને રાજપરાથી નીકળી માંડવી તાલુકાના ઝાબ ગામે પોતાના સાસરે આવતાં હતાં તે દરમિયાન રાત્રે ખોડંબા ગામના બસ સ્ટેન્ડ નજીકથી એક નંબર વગરની મોટરસાઈલક પર આવેલા ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ તેમને આંતરી તેમની આંખમાં મરાચની ભૂંકી નાંખી તેમની પાસે 4500 રોકડા તેમજ મોટરસાઈકલ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતાં. માંડવી પોલીસને પ્રાથમિક તબક્કે જ ફરિયાદીના નિવેદન ઉપર શંકા હતી. જે આધારે પીઆઈ એચ. બી. પટેલે અને સ્ટાફે એલસીબીની મદદથી ઉલટ તપાસ કરતાં ફરિયાદીના શરીર ઉપર માત્ર શર્ટ ઉપર જ મરચાની ભૂંકી હતી.
આંખમાં કોઈપણ પ્રકારની મરચાની ભૂકી ગઈ હોવાનું જણાય આવ્યું ન હતું. ઉપરાંત લૂંટના રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજમાં પણ તેમની આગળ પાછળ અન્ય કોઈ વાહનની અવર જવર જણાય આવી ન હતી. જે તમામ હકીકતને આધારે પોલીસે ફરિયાદી રાજેશ ગામીતની કરેલી તપાસમાં એ ભાંગી પડ્યો હતો. અને કબૂલ્યું હતું કે તેમણે લીધેલ મોટરસાઈકલના લોનના હપ્તા ભરપાઈ ન કરાતાં મોટરસાઈકલ ખેંચાઈ જવાની શંકા હતી. જેથી તેમણે જંગલ વિસ્તારમાં મોટરસાઈકલ મુકી દઈ લૂંટની ખોટી ફરિયાદનો સ્ટંટ કર્યો હતો. પોલીસની આગળ કરેલી કબૂલાતને આધારે પોલીસે જંગલમાંથી મોટરસાઈકલ પણ કબજે કર્યું હતું.