શું આ છે ગુજરાતની શિક્ષણનીતિ: સુંદરપુર પ્રા. શાળાના નશેડી શિક્ષકની તાકિદે બદલી કરવા ગ્રામજનોએ આવેદન આપ્યું
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/સુંદરપુર.jpg)
ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના કોકણી ફળિયામાં ચાલતી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષક છેલ્લા ત્રણ વર્ષથી નશા યુક્ત સ્થિતિમાં આવતાં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરી તેમની બદલી કરવાની માંગ કરી હતી.
સુંદરપુર ગામના કોકણી ફળિયામાં જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળા ચાલે છે. આ શાળામાં લલ્લુભાઈ ગામીત નામના શિક્ષક ફરજ બજાવે છે. શાળાની એસ.એમ.સી સમિતિના સભ્યો અને વાલીઓ દ્વારા આ શિક્ષક વિરુદ્ધ તાલુકા શિક્ષણ અધિકારીને એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમાં જણાવ્યાં મુજબ આ શિક્ષક શાળામાં નશાયુક્ત સ્થિતિમાં આવતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ શિક્ષક મહાશય બાળકોને ભણાવવાના બદલે શાળામાં સુઈ જતાં હોવાની ફરિયાદ પણ થઈ છે. આ શિક્ષકને કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે અને તેમનું શિક્ષણ બગડી રહ્યું છે. આ શિક્ષકને શાળામાંથી તાકીદે બદલી કરવાની માંગ કરવામાં આવી છે. જો ટૂંક સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવે તો વાલીઓ દ્વારા શાળાના દરવાજે તાળું મારવા સહિતના ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવનાર છે. ઉચ્છલ તાલુકા શિક્ષણ અધિકારી આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ગ્રામજનો એ કરી હતી.