![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/app_1714383729662f6b71ce9d0_1000637209.webp)
સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા મિની પાણી પુરવઠા યોજના અન્વયે મુકવામાં આવેલી ટાંકી હાલ બંધ સ્થિતિમાં હોવાથી ગ્રામજનોને પીવાના પાણી બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નિશાળ ફળિયું અને તેની આસપાસના લોકોને પીવાના પાણી અંગે મુશ્કેલી પડતી હતી. તેમાં પણ ખાસ કરીને ઉનાળાના સમયમાં તો બોર અને કૂવાના પાણીનાં તળ ઊંડા ચાલી જતાં હોય એક બેડું પાણી મેળવવા પણ રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
નિશાળ ફળિયામાં મુખ્ય રોડ નજીક રૂપિયા સાડા ત્રણ લાખના ખર્ચ સાથે મીની પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી હતી અને એ અન્વયે આસપાસના ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા હતાં. જો કે આ મીની પાણી પુરવઠા યોજનાનો લાભ ગ્રામજનોને ઘણો અલ્પ સમય જ મળ્યો હતો અને થોડાં જ સમયમાં બોર સાથે મુકવામાં આવેલી મોટર ફૂંકાઈ ગઈ હતી, પાઇપ લાઈન પણ તૂટી જતાં સમગ્ર યોજના બંધ પડી ગઈ હતી. એ સાથે જ સરકારી ચોપડે કદાચ પાણીની ટાંકી કાર્યરત હોવાનું દર્શાવવામાં આવ્યું હશે પણ સ્થળ પર યોજના બંધ છે અને લોકોને દૂરના સ્થળે થી ખાનગી બોર માંથી અથવા જે પાણી પુરવઠા યોજના ચાલતી હશે ત્યાંથી પાણી મેળવવા ની ફરજ પડે છે. આમ રાજ્ય સરકાર દ્વારા દરેક ઘર ના આંગણે નલ સે જલ યોજના ના માધ્યમ થી પાણી પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવે છે તે આમલીપાડા ગામ માટે તો ભ્રામક છે.