![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
મારા પતિની વધતી લોકપ્રિયતાથી ભાજપ સરકાર ડરી ગઇ છે અને તેથી જ ખોટો કેસ કરાવ્યો છે તેમ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા 3 નવેમ્બરથી ફરાર છે અને તેમના પ્રથમ પત્ની સહિત 3 જેલમાં છે. ત્યારે ચૈતર વસાવાના બીજા પત્ની મેદાનમાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. દેડિયાપાડાના બોગજ ગામમાં જંગલની જમીનમાં ખેડાણ બાબતે થયેલાં વિવાદમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 10 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. 3 નવેમ્બરે ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર થઇ ગયાં છે. તેમના પત્ની શંકુતલા સહિતના 3 આરોપી જેલમાં છે.
છેલ્લા ત્રણ સપ્તાહ ઉપરાંતથી ચાલી રહેલાં વિવાદમાં હવે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવાની એન્ટ્રી થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તો જીતી જાય તેમ હોવાથી ભાજપ સરકારે ખોટી રીતે કેસ કર્યો છે. વનકર્મીઓને માર મારવાની આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે. વન કર્મચારીઓએ ખોટી રીતે ગરીબ ખેડૂતનો પાક કાપી નાંખ્યો હતો. તેની સમજાવટ દરમિયાન બનેલી ઘટનાને અલગ સ્વરૂપ આપી પોલીસે કેસ કરી દીધો છે.