ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનું સર્વે કામગીરી હાથ ધરવામાં આવી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/નુકશાની.webp)
સુરત જિલ્લામાં ગત 25 તારીખે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફેરવી દીધું હતું. ત્યારે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની જાહેરાત કરતા જ ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ કામે લાગી ગયા છે અને હાલ પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત 25 તારીખે રાજ્યમાં કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં પાકમાં ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ રાત દિવસ એક કરી તૈયાર કરેલા પાકનો કોળીયો મોઢામાંથી છીનવાઈ ગયો હતો. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય ચુકવવાની માંગ કરી હતી.
મહત્ત્વનું છે કે, ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી સરકારે સર્વેના આદેશ કરતા જ જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ કામે લાગી હતી અને સુરત જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લામાં કપાસ, ડાંગર, તુવેર, એરંડા સહિતના પાકોના વાવેતરના નુકસાનીનો સર્વે ખેતીવાડી અધિકારી સહિતની ટીમ ખેતરોમાં જઈ કરી રહ્યા છે. અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.