![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/9-August-2023-World-tribes-day.jpeg)
માનનીય મહોદય સુ.શ્રી. દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રના સર્વોચ્ચ પદે પહોંચનારા સર્વપ્રથમ આદિવાસી બની રહ્યા છે. તે સાથે ઘણાને આદિવાસીઓના ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ જાગે તે સહજ છે.
વાસ્તવમાં દુનિયાભરના લગભગ તમામ દેશોમાં આદિવાસીઓ હોય જ છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા હોય કે જ્યાં રેડ ઇન્ડિયન્સ અને (દક્ષિણ)ના જંગલોમાં વસતા આદિવાસીઓ હોય પર્વતોમાં કે ઊંચા ઘાસના બીડોમાં કે રણોમાં પણ વસતા આદિવાસીઓ લગભગ દરેક દેશમાં મળી આવે છે. જો કે, પશ્ચિમના જગતમાં તો તેઓ આધુનિક જીવન સાથે એકરૂપ થઈ જતા યુરોપ તથા અમેરિકામાં તેઓને જુદા તારવવા મુશ્કેલ છે. યુરોપમાં તો તેઓ લગભગ જોવા જ મળતા નથી.
પરંતુ નગરજીવનમાં વ્યસ્ત તેવા અનેકોને તેમના જ દેશમાં વસતા આદિવાસીઓ વિષે પૂરી માહિતી હોવા સંભવ નથી.
ખરી વાત તો તે છે કે આદિવાસીઓને પણ તેઓની એક વિશિષ્ટ સંસ્કૃતિ છે, વિશિષ્ટ સમાજરચના છે. વિશિષ્ટ ઇતિહાસ પણ છે. જે તેઓની ચિત્રકલા ઉપરથી જાણી શકાય છે. તેઓની લોકવાર્તાઓ અને લોકગીતો ઉપરથી પણ જાણી શકાય છે.
ઉલ્લેખનીય તો તે છે કે, તેઓને આપણી ‘કહેવાતી’ સુધરેલી નગર સંસ્કૃતિ પસંદ નથી. તેઓનો સમાજ મજબૂત રીતે ગુંથાયેલો હોય છે. મોટા ભાગના તો જંગલોમાં, પર્વતોમાં, રણોમાં કે ઘાસના બીડોમાં રહેવાનું જ પસંદ કરે છે. તમોને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના સંથાલો, ભીલોને ખોટું બોલવું શું કહેવાય તેની માહિતી ન હતી તેઓની ટોળીઓ આપસમાં લડે તો સામેનાને કેટલાને મારી નાખ્યા તે ખુલ્લા મને કહે છે. ચોરી,બળાત્કાર જણાતા નથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. નગરવાસીઓના સંપર્કને લીધે જૂઠ તો પ્રસરી રહ્યું છે પરંતુ તે નજીવા પ્રમાણનું છે.
તે સમાજને પોતાના જ ‘કાનૂન’ હોય છે તેમાં કોઈ હસ્તક્ષેપ કરે તે સહી શકતા નથી. લગ્નથી શરૂ કરી અંતિમ ક્રિયા સુધીની તેમની પદ્ધતિ જ અલગ છે. હજી સુધી આંદામાન નિકોબારના આદિવસીઓ મૃતદેહને ઉંચા વૃક્ષ ઉપર બાંધે છે તેઓ માને છે કે તે દ્વારા મૃતકનો આત્મા જલ્દી સ્વર્ગે સિધાવશે.
આર.સી. મજુમદાર જેવા મહાન ઇતિહાસકાર જણાવે છે કે, ભારતના આદિવાસીઓને આત્મા વિષે પણ માહિતી હતી. ભગવાન શિવ અને ગણપતિના પૂજન અર્ચન પણ કરતા હતા. કંકુ, ચોખાથી પૂજન કરતા તેઓ સર્પનું પણ પૂજન કરતા આવી પૂજન વિધિ ભારતમાં આવેલા આર્યોએ સ્વીકારી. તેમના દેવોને પણ સ્વીકાર્યા ભગવાન શિવને દેવાધિદેવ કહ્યા. ગણપતિને પ્રથમેશ સૌથી પહેલા દેવ કહ્યા. ગણપતિ આદિવાસી સંસ્કૃતિ એ આર્ય સંસ્કૃતિ પર પ્રભાવ પાડયો તેના સંમિશ્રણથી જ વર્તમાન હિન્દુ ધર્મ રચાયો છે.