નાંદોદ તાલુકાના કુમસ ગામની વિધવા મહિલાની કોયતાના ઘા મારી હત્યા કરી પ્રેમી ફરાર થયો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/images-4.jpeg)
નાંદોદ તાલુકાના કુમસગામની વિધવા મહિલાની તેના જ પ્રેમીએ કોયતાના ઘા મારી મોતને ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે.
ગામકુવાના ખત્રીફળિયાની કલ્પના વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પિતાનું અવસાન થઇ ગયું હોવાથી માતા રમીલા ( ઉવ.45) નાઓ વિધવા તરીકે જીવન વ્યતિત કરી રહી છે. 14મીના રોજ તે ઘરેથી ગામની સીમમાં ઘાસ ચારો લેવા માટે ગઇ હતી. ઘાસચારો લેવા ગયેલી રમીલા વસાવા મોડી સાંજ સુધી ઘરે પરત નહિ આવતાં દીકરી તથા અન્ય પરિવારજનો તેને શોધવા માટે નીકળ્યાં હતાં. શોધખોળ દરમિયાન રમીલાને ખોજલવાસા ગામે રહેતા રાવજી વસાવા સાથે પ્રેમસંબંધ હોવાની વાત જાણવા મળી હતી. જેથી પરિવારજનો ખોજલવાસા ગામે શોધવા માટે ગયાં હતાં તે દરમિયાન રાવજી વસાવા ખોજલવાસાના પુલ પર મળી ગયો હતો. પરિવારે તેને રમીલા વિશે પૂછપરછ કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો અને ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.બીજા દિવસે રમીલાનો મૃતદેહ મળી આવ્યો હતો. રાવજી વસાવાએ કોઇ કારણોસર કોયતાના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આમલેથા પોલીસે આરોપી રાવજી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.