વાલોડ તાલુકાના અંબાચ ગામે વાલ્મિકી નદી ઉપર નાવડી મૂકી રેતી ખનન કરતા માફિયા સક્રિય થયા
ગ્રામપંચાયતનો ઠરાવ કે મંજૂરી નથી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે વાલ્મિકી નદી ઉપર સ્મશાન નજીક નાવડી મૂકી રેતી કાઢવામાં આવી રહી છે, રેતી ખનન અંગે ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી કે ભુસ્તર વિભાગ અજાણ હોય તો કોનાં આશીર્વાદથી અન્ય જિલ્લામાંથી બહારની વ્યક્તિ આવી નાવડી મૂકી રેતી ખનન કરે તે તપાસનો વિષય બન્યો છે.
અંબાચ ગામે સ્મશાન નજીક વાલ્મિકી નદીના તટ પર કેટલાક સમયથી રેતી માફિયાઓ દ્વારા નદીમાં નાવડી મૂકી રેતીનો વેપલો કરવામાં આવી રહ્યો છે, કોઈપણ પ્રકારની અગાઉના વર્ષોમાં અંબાચ ખાતે લીઝ ન હતી અને અચાનક બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ અને બખોફ બની કોઈની પણ પરવાનગી લીધા વિના નદીમાં નાવડી મૂકી રેતીનો વેપલો કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સરપંચ અજાણ હોવાનો અને ઠરાવ ન કર્યો હોવાનો બહાર આવ્યું હતું, જયારે મામલતદાર કચેરી પણ આ અજાણ હોવાનું બહાર આવ્યું હતું.
જિલ્લા બહારની વ્યક્તિ વાલ્મિકી નદીમાં નાવડી મૂકી રેતી ખનન કરવાની હિંમત કોઈક મોટા માથાના આશીર્વાદ વિના થઈ શકે નહીં. અંબાચ ગ્રામજનો દ્વારા આ બાબતે સોશિયલ મીડિયા ઉપર રોષ જાહેર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તંત્ર કે ભુસ્તર વિભાગ આવા રેતી માફીયાઓ સામે કોઈ પગલાં લેશે ખરા ? કે કોઈક મોટી રાજકીય વ્યક્તિ કે કોઈક અધિકારીના દબાણ ટળે આવા રેતી માફિયાઓને છાવરવામાં આવશે તેનાં ઉપર અંબાચ ગામના રહીશોની નજર છે, આ વિના પરવાનગી એ થઈ રહેલ ગેરકાયદેસરની પ્રવૃત્તિ નહિ અટકે તો આવનાર દિવસોમાં અંબાચનાં ગ્રામજનો જલદ કાર્યક્રમો કરે તો નવાઈ નહી.
અંબાચના સરપંચ અમરતભાઈ ચૌધરીને આ બાબતે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા લીઝ અંગે કોઈપણ પ્રકારનો ઠરાવ કરેલ નથી, કે રેતી કાઢવા માટે મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં આ નાવડી મૂકી રેતીનો વેપલો કરવામાં આવી રહ્યો છે.