લ્યો, બોલો હવે; નર્મદાના રીંગાપાદર ગામની શાળામાં એક પણ શિક્ષક ન હોવાથી 32 બાળકો શાળાએ આવતાં જ ન હતાં
32 બાળકોનું ભવિષ્ય સાથે ચેડા કરનાર કોણ? ક્યાં સુધી ગ્રાન્ટ અને બજેટના બહાને આદિવાસી વિસ્તારોમાં બાળકોના ભવિષ્ય સાથે રમત રમવામાં આવશે?
![](http://transparencynews.in/wp-content/uploads/2024/06/reassign_app_1719318535667ab807dfe11_1000441992.webp)
રાજયભરમાં બુધવારથી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે તેવામાં દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી હતી. રીંગાપાદર ગામે પહોંચેલા ધારાસભ્યએ શાળા બંધ હાલતમાં જોતા શાળા ખોલાવી હતી અને ગામમાંથી બાળકોને બોલાવી તેમને અભ્યાસ કરાવ્યો હતો.
ગામલોકોએ જણાવ્યું હતું કે, શાળામાં 32 જેટલા છાત્રો અભ્યાસ કરે છે પણ શિક્ષક નહિ હોવાથી તેઓ બાળકોને શાળાએ મોકલતા નથી અને શાળા બંધ રહે છે. રીંગાપાદરથી તેઓ ગીચડ ગામે ગયાં હતાં જયાં શાળામાં અભ્યાસ કાર્ય ચાલી રહયું હતું પણ શાળાના ઓરડાઓ એકદમ જર્જરીત જણાયા હતાં. તેમણે શિક્ષણ મંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો. અને પ્રવેશોત્સવના તાયફાઓ ના ખર્ચમાં શિક્ષકોની ભરતી કરી સ્કૂલ નવી બનાવી ની માંગ કરી નહીતો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમો નો બહિષ્કાર કરીશું ની સરકારને ચીમકી આપતા તંત્રમાં ફાફડાટ ફેલાયો છે.
બાજુની શાળામાંથી શિક્ષક મૂકવામાં આવ્યાં છે
ગત ઓગસ્ટ સપ્ટેમ્બરમાં રીંગાપાદર સ્કૂલમાં એક કાયમી અને એક પ્રવાસી શિક્ષક આમ બે શિક્ષકો હતાં. પરંતુ મુખ્ય શિક્ષક ની બદલી થતા તે જતા રહ્યા અને જ્ઞાન સહાયકની સ્કીમ આવતા પ્રવાસી શિક્ષકોને છુટા કરવામાં આવ્યા એટલે હાલ એક પણ શિક્ષક નથી. ગામની નજીકમાં આવેલી શાળામાંથી એક શિક્ષકને આ શાળામાં મુકવામાં આવ્યાં છે. > નિશાંત દવે, ડીપીઇઓ, નર્મદા.