વિશ્વ

એ કારણો જેના લીધે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા

77માં સ્વતંત્રતા દિવસ ખાસ ખબર...

ઑગસ્ટ 1947માં અંગ્રેજ શાસન પાસેથી ભારતને સ્વતંત્રતા મળી હતી.

જે દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા, તે વિભાજિત થઈ ગયો હતો, તેને નામ આપવામાં આવ્યું હતું ભારત અને પાકિસ્તાન (પૂર્વ પાકિસ્તાન પછી બાંગ્લાદેશ બન્યું હતું).

વિભાજન દરમિયાન હિંસા ભડકી ઊઠી હતી અને આશરે 1.5 કરોડ લોકોએ સ્થળાંતર કર્યું હતું. આ હિંસામાં 10 લાખ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ત્યારથી ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના દુશ્મન બની ગયા છે.

વિભાજન કેમ થયું હતું?

1946માં બ્રિટને જાહેરાત કરી હતી કે તે ભારતને સ્વતંત્રતા આપશે. બ્રિટિશર હવે દેશનો વહીવટ ચલાવી શકે તેમ ન હતા અને બની શકે તેટલો જલદી દેશ છોડી દેવા માગતા હતા.

છેલ્લા વાઇસરૉય, લૉર્ડ લુઇસ માઉન્ટબેટને તે માટે 15 ઑગસ્ટ 1947ની તારીખ નક્કી કરી હતી. તે સમયે ભારતની વસતીમાં આશરે 25 ટકા મુસ્લિમો હતા. બાકીની વસ્તીમાં મોટાભાગના હિંદુ હતા. અન્યોમાં શીખ, બુદ્ધ અને બીજા લઘુમતીઓનો સમાવેશ થયો હતો.

આર્ટ્સ અને હ્યુમનિટીઝ રિસર્ચ કાઉન્સિલના ભારતીય ફેલો પ્રોફેસર નવતેજ પુરેવાલ કહે છે, “અંગ્રેજોએ ધર્મનો ઉપયોગ કરીને ભારતના લોકોને અલગ-અલગ શ્રેણીમાં વિભાજિત કર્યા હતા.”

“ઉદાહરણ તરીકે તેમણે સ્થાનિક ચૂંટણીઓ માટે મુસ્લિમ મતદારો અને હિંદુ મતદારોની અલગ યાદી તૈયાર કરી હતી. મુસ્લિમ નેતાઓ અને હિંદુ નેતાઓ માટે બેઠકો આરક્ષિત હતી. રાજકારણમાં ધર્મ મહત્ત્વનું પરિબળ બની ગયું હતું.”

યુકેમાં સ્થિત ચથમ હાઉસ ફૉરેન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટના ડૉ. ગૅરેથ પ્રાઇસ કહે છે, “જ્યારે લાગ્યું કે ભારતને સ્વતંત્રતા મળવાની છે, ત્યારે ઘણા મુસ્લિમોને ચિંતા થઈ કે તેઓ એવા દેશમાં રહેશે જેને હિંદુ બહુમતીઓ ચલાવશે. તેઓ એવા નેતાઓને સમર્થન આપવા લાગ્યા, જેઓ મુસ્લિમો માટે એક અલગ વિસ્તાર માટે અભિયાન ચલાવી રહ્યા હતા.”

કૉંગ્રેસ સ્વતંત્રતા અભિયાનના નેતાઓ મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નહેરુએ કહ્યું કે તેઓ એક એવું ભારત ઇચ્છે છે જેમાં બધા ધર્મના લોકો રહે.

જોકે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ સ્વતંત્રતાના સમાધાનના ભાગરૂપે વિભાજનની માગ કરી હતી.

ડૉ. પ્રાઇસ કહે છે, “એક ભારત કેવી રીતે ચાલશે તેના કરાર કરવા માટે લાંબો સમય લાગી જાત, એવામાં વિભાજન ઝડપી અને સહેલો રસ્તો હતો.”

વિભાજનના કારણે લોકોને કેવી તકલીફો થઈ?

બ્રિટિશ સિવિલ સર્વન્ટ સર સાઇરિલ રેડક્લિફ દ્વારા 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ બનાવવામાં આવી હતી. તેમણે મધ્ય અને દક્ષિણ ભાગને ભારત બનાવ્યું, જ્યાં હિંદુઓ લઘુમતીમાં હતા અને ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભાગને મુસ્લિમ બહુમતી સાથે બનાવ્યું.

જોકે, હિંદુ અને મુસ્લિમ કૉમ્યુનિટીઓ બ્રિટિશ ભારતમાં બધી જગ્યાએ ફેલાયેલી હતી. તેનો મતલબ છે કે વિભાજન બાદ આશરે 1.5 કરોડ લોકોએ નવી સરહદને પાર કરવા સેંકડો કિલોમિટરનો પ્રવાસ કર્યો હતો.

કેટલીક જગ્યાએ કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને લોકોને તેમના ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. જેનુ પહેલું ઉદાહરણ હતું, 1946માં કોલકાતામાં થયેલી હત્યાઓ. આ રમખાણમાં આશરે બે હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

SOAS, યુનિવર્સિટી ઑફ લંડનમાં દક્ષિણ એશિયન ઇતિહાસના લૅક્ચરર ડૉ. ઇલેનોર ન્યૂબિગિન કહે છે કે, “મુસ્લિમ લીગે લશ્કર બનાવ્યું જ્યારે હિંદુઓએ જમણેરી હિંદુ સંગઠન બનાવ્યું. આતંકવાદી સંગઠનો લોકોને તેમનાં ઘરોની બહાર કાઢી મૂકતાં હતાં, જેથી તેમને વધારે વિસ્તાર પર નિયંત્રણ મળે.”

અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન બેથી 10 લાખ લોકોની હત્યાઓ થઈ અથવા તો શરણાર્થી કૅમ્પમાં મૃત્યુ પામ્યા.

હિંદુ અને મુસ્લિમ, બંને ધર્મની હજારો મહિલાઓ પર બળાત્કાર થયા હતા, તેમનાં અપહરણ કરી લેવાયાં હતાં.

વિભાજનનાં પરિણામો શું હતાં?

વિભાજનના સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વારંવાર કાશ્મીર પર નિયંત્રણ મુદ્દે લડાઈ થઈ છે. બંને દેશો વચ્ચે બે વખત યુદ્ધ થયા, 1947-8 અને 1965માં. 1999માં પણ કાશ્મીર મામલે આ દેશો સામસામે આવ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં યુદ્ધ થયું હતું, જ્યારે ભારતે પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)ને પાકિસ્તાનથી સ્વતંત્રતા મામલે સમર્થન આપ્યું હતું. પાકિસ્તાનમાં હાલ બે ટકાથી ઓછી હિંદુ વસ્તી છે.

ડૉ. પ્રાઇસ કહે છે, “પાકિસ્તાન વધુ ઇસ્લામિક બની ગયું છે. એવું એ માટે કેમ કે ત્યાંની મોટાભાગની વસતી મુસ્લિમ છે અને ખૂબ ઓછા હિંદુઓ બચ્યા છે.”

“ભારતમાં પણ હિંદુત્વનો પ્રભાવ વધી રહ્યો છે.”

ડૉ. ન્યૂબિગિન કહે છે કે, “વિભાજનનો વારસો દુખદાયક છે. તેનાથી શક્તિશાળી ધાર્મિક બહુમતીઓ દેશોમાં વહેંચાઈ ગઈ. લઘુમતીઓ પહેલાં હતી તેના કરતાં પણ વધારે નાની બની ગઈ છે અને તેમની સ્થિતિ વધારે દયનીય બની ગઈ.”

પ્રોફેસર નવતેજ પુરેવાલ કહે છે કે વિભાજનને તે સમયે રોકી શકાયું હોત.

તેઓ કહે છે કે, “1947માં એક સંયુક્ત ભારત બનાવવું શક્ય હતું. અલગ રાજ્યો બનાવી શકાયાં હોત જ્યાં મુસ્લિમો બહુમતીમાં હોત. પરંતુ ગાંધી અને નહેરુ, બંનેએ એકીકૃત રાજ્યની માગ કરી જેનું સંચાલન કેન્દ્ર દ્વારા થાય. તેમણે વિચાર્યું નહીં કે મુસ્લિમ લઘુમતીઓ એ પ્રકારના દેશમાં કેવી રીતે રહેશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button