” નળ સે જળ” અને “૨૪ કલાક વીજળી” યોજનાની ખુલી પોલ; પાણી આવતું નથી અને દિવસમાં 2 કલાક જ વીજળી મળે છે
સાગબારા તાલુકાનાં જાવલી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન સંવાદ
સાગબારા તાલુકાના જાવલી ગામમાં બુધવારે બપોરના સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આગમન થયું હતું. તેમણે ગામના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને ગામલોકો સાથે સંવાદ કર્યો હતો. આદિવાસી ગ્રામ્ય સંસ્કૃતિને જાણવા માટે મુખ્યમંત્રીએ જાવલી ગામમાં રોકાણ પણ કર્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના પહેલીવાર ગામમાં આગમનથી ગામલોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ ગામની આંગણવાડી, બાલવાટિકા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત કરી હનુમાન મંદિર ખાતેની આરતીમાં સહભાગી બન્યા હતા.
બાદમાં ગામના વરિષ્ઠ નાગરિકો અને અને ગામના સરકારી કર્મચારીઓ (તલાટી, VCE, શિક્ષકો, આંગણવાડી વર્કર, હેલ્પર, આશા, નર્શ) વગેરે સાથે પણ સંવાદ કરીને જરૂરી માહિતી મેળવી હતી. ત્યારબાદ જાણ સંવાદ દરમિયાન લોકોએ તેમની વ્યથા વર્ણવી હતી. અને ગામની પરિભ્રમણ દરમિયાન ગામમાં અનાજની ઘંટી ચલાવતાં પરિવારની મુલાકાત થતાં પરિવારે કહયું હતું કે, “ગામમાં વીજથાંભલા તો છે પણ દિવસમાં માંડ ૨ થી ૩ કલાક વીજળી મળે છે તેમજ નળ સે જળ યોજના હેઠળ નળ તો નંખાયાં છે પણ તેમાં પાણી જ આવતું નથી.” આદિવાસી સમાજની વસ્તી ધરાવતું જાવલી ગામ હજી પણ વીજળી અને પાણીની સમસ્યાનો સામનો કરી રહયું છે પણ મુખ્યમંત્રીની મુલાકાત બાદ તેમની સુવિધાઓ વધશે તેવી ગામ લોકોમાં આશા વધી છે.
મુખ્યમંત્રીને સાથે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, કલેકટર શ્વેતા તેવટીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં. મુખ્યમંત્રીએ ગામની પદયાત્રા કરી લોકોના હાલચાલ જાણ્યા હતા. અને લોકનું અભિવાદન પણ ઝીલ્યું હતું. તેમણે લોકોના નિવાસ, પશુઓને રાખવાના તબેલાં સહિતની વસ્તુઓને ઝીણવટભરી રીતે નિહાળીને સ્થાનિકો પાસેથી વધુ માહિતી અને જાણકારી પણ તેમણે મેળવી હતી. ગામ લોકોની આશા છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદિવાસી ગામડાઓની પરિસ્થિતી ધ્યાને રાખીને તેઓ માટે ખાસ યોજનાઓ બનાવે એને વિકાસની આ ધારામાં આદિવાસીઓ પણ મહત્વની ભૂમિકામાં રહે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ શાળા પ્રવેશોત્સવમાં આવવાના હતાં-
મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ દરમિયાન જાવલી ગામની શાળાની મુલાકાતે આવવાના હતાં. પણ બિપરજોય વાવાઝોડાના કારણે તેમનો કાર્યક્રમ રદ થયો હતો. આખરે તેઓ બુધવારે ગામની મુલાકાતે આવ્યાં હતાં અને રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આજે તેઓ તાપી જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા છે.