ડાંગમાં BSNLના 3 ટાવર શોભાના ગાંઠીયા સમાન
જંગલ વિસ્તારમાં બરડીપાડા, કોસીમદા અને કુશમાળ જેવા વિસ્તારોમાં સૌથી વધુ તકલીફ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
ડાંગ જિલ્લાનાં સુબીરના બરડીપાડા તથા વઘઈ તાલુકાના કોસીમદા અને કુશમાળમાં BSNL ટાવર શોભાના ગાંઠિયા સમાન થયા છે. BSNLના ટાવર તો છે પરંતુ બંધ હાલતમાં છે ત્યારે આ BSNL અધિકારીઓ સામે અનેક સવાલ ઉઠ્યા છે. ડાંગ જિલ્લાના સુબીરના બરડીપાડા તથા વઘઈ તાલુકાના કોસીમદા અને કુશમાળમાં BSNL ટાવર તો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલના સમયમાં મોબાઈલમાં નેટવર્ક હોય તેનાથી જ લોકો એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે પરંતુ અહીં ટાવર બંધ હાલતમાં હોવાથી સ્થાનિકો એક પ્રકારે સંપર્ક વિહોણા થઇ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. ફરીથી આ જંગલ વિસ્તારમાં કબૂતરો કે પછી ચિઠ્ઠી મોકલીને સંદેશો પોહચાડવાના સમય આવી ગયા છે. વિકાસ અધોગતિમાં જઇ રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં BSNL ટાવર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ અધિકારીઓની બેદરકારી નહીં તો શું છે ? BSNLના ટાવર બંધ હોય તે અંગેની ફરિયાદ કરવા અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા કોલ રીસિવ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. BSNLનું સીમ ધરાવતા લોકો રીચાર્જ કરાવે છે પરંતુ તેમનું રીચાર્જ પાણીમાં જતું જોવા મળી રહ્યું છે, અને કંપનીઓને ફાયદાને ફાયદા થતાં દેખાય રહ્યા છે, કારણ કે ટાવર બંધ હોવાથી મોબાઈલમાં નેટવર્ક આવતું નથી અને મોબાઈલ બિનઉપયોગી થઈ પડે છે. સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે પરંતુ અહીં તો ટાવર બંધ હોવાથી લોકોને નેટવર્ક જ મળતું નથી, જેના કારણે લોકો ઇન્ટરનેટની સુવિધાનો તો લાભ જ લઈ શકતા નથી અને જેના લીધે આ વિસ્તાર ફરી 19મી સદીમાં પોહચી ગયો હોય એવા અનુભવ થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે પરંતુ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે નહીં તે તો જોવું રહ્યું. શું અધિકારીઓ પગાર લેવા માટે જ નોકરી કરે છે કે કામ પણ કરી લેતા છે? એ આવનારા દિવસોમાં જોવાનો વિષય બની રહેશે.